મુંબઈ: જુલાઈમાં શહેરની સ્કૂલો જુલાઈમાં પુનઃ ખૂલવાની શક્યતા છે?
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ શું શહેરની સ્કૂલો જુલાઈમાં પુનઃ ખૂલવાની શક્યતા છે? લાખો વાલીઓને મૂંઝવી રહેલા આ પ્રશ્નનો જવાબ મળી રહ્યો નથી, જેની પાછળ રાજ્ય સરકાર દ્વારા આ માટેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર્સ (એસઓપી) જાહેર કરવામાં થઈ રહેલો વિલંબ જવાબદાર છે. વિભાગ રેડ ઝોનમાં આવેલી સ્કૂલો માટે અલાયદી એસઓપી જાહેર કરવાનો હતો અને ગયા અઠવાડિયે સ્કૂલો પુનઃ ખૂલવા વિશે અન્ય એસઓપી જાહેર થઈ ત્યારથી રેડ ઝોનમાં આવેલી સ્કૂલો ગૂંચવાઈ ગઈ છે.
ADVERTISEMENT
ગયા અઠવાડિયે જાહેર થયેલી ડિજિટલ લર્નિંગ અને સ્કૂલ પુનઃ ખૂલવા વિશેની એસઓપીમાં જુલાઈથી તબક્કાવાર પ્રક્રિયા થકી સ્કૂલો પુનઃ ખૂલવા માટેની કામગીરીની યોજના જણાવવામાં આવી છે. જેમ-જેમ જુલાઈ મહિનો નજીક આવી રહ્યો છે અને ઘણી સ્કૂલો શિક્ષકોને કામ પર બોલાવવા માંડી છે ત્યારે વાલીઓ તેમ જ શિક્ષકોની મૂંઝવણમાં વધારો થઈ રહ્યો છે.
થાણેના એક વાલી રાજીવ શાહે જણાવ્યું હતું કે ‘રેડ ઝોનની સ્કૂલો માટે અલગ એસઓપી નથી ત્યારે ઘણી સ્કૂલો વર્તમાન એસઓપીને વળગી રહેવા માટે બંધાયેલી છે, જેમાં સ્કૂલ જુલાઈ મહિનાથી પુનઃ ખૂલી રહી છે. હજી ગઈ કાલે જ રાજ્ય સરકારના ઉચ્ચતર શિક્ષણપ્રધાને જાહેરાત કરી હતી કે જુલાઈ મહિનામાં યોજાનારી CET સેલની એન્ટ્રન્સ પરીક્ષાઓ પણ આગામી નોટિસ સુધી પાછી ઠેલવામાં આવી છે. આ સ્થિતિમાં શહેરમાં સ્કૂલો ખૂલવાની કોઈ શક્યતા નથી, પરંતુ સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને શિક્ષકોને સ્કૂલમાં બોલાવવામાં આવી રહ્યા છે.’
રેડ ઝોનમાં આવેલી સ્કૂલો વિશેના નિયમો જાહેર કરવામાં આવશે. મંત્રાલયમાં એ વિશેની કામગીરી ચાલી જ રહી છે.
- વિશાલ સોલંકી, એજ્યુકેશન કમિશનર, મહારાષ્ટ્ર