ટીઆરપી કૌભાંડ કેસનું રિપોર્ટિંગ કોર્ટ રોકી ન શકે : હાઈ કોર્ટ
હાઈકોર્ટ
ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ (ટીઆરપી)માં ગોલમાલના કૌભાંડનું રિપોર્ટિંગ કરતાં રિપબ્લિક ટીવી ચૅનલ તથા અન્ય ન્યુઝ ચૅનલ્સને રોકવાની મહારાષ્ટ્ર સરકારની માગણી મુંબઈ વડી અદાલતે નામંજૂર કરી હતી. મહારાષ્ટ્ર સરકારે વડી અદાલતને જણાવ્યું હતું કે 'એ ચૅનલ્સ સમાંતર રીતે તપાસ ચલાવતી હોય અને કેસ ચલાવતી હોય એ રીતે ટીઆરપી કૌભાંડની તપાસનું કવરેજ કરે છે. તેથી એ ટીવી ન્યુઝ ચૅનલ્સને એનું કવરેજ કરતાં રોકવાના આદેશની માગણી કરીએ છીએ.’
હાઈ કોર્ટના જસ્ટિસ એસ. એસ. શિંદે અને જસ્ટિસ એમ. એસ. કર્ણિકે જણાવ્યું હતું કે આ તબક્કે ન્યુઝ ટીવી ચૅનલ્સને રિપોર્ટિંગ અને કવરેજ કરતાં રોકવાનો આદેશ આપી શકાય એમ નથી.
ADVERTISEMENT
રાજ્ય સરકાર તરફથી સિનિયર ઍડ્વોકેટ કપિલ સિબલે જણાવ્યું હતું કે ‘ટીવી ન્યુઝ ચૅનલ્સ સમાંતર રીતે તપાસ ચલાવતી હોય અને કેસની કાર્યવાહી પણ ચલાવતી હોય એ રીતે ટીઆરપી કૌભાંડ સંબંધી કવરેજ કરે છે. કેસ હજી સબજુડિસ (ન્યાયપ્રવિષ્ટ) છે ત્યારે એ ચૅનલ્સ સાક્ષીઓને કૅમેરા સામે બોલાવે છે અને સીધાં બયાનોનું પ્રસારણ કરે છે. કેસની તપાસ ચાલે છે અને સુનાવણી ચાલે છે ત્યારે આ પ્રકારે પ્રસારણ ગેરવાજબી છે.’
રિપબ્લિક ટીવી ચૅનલના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીના વકીલ આબાદ પોન્ડાએ જણાવ્યું હતું કે ‘પ્રસાર માધ્યમોમાં ચાલતા વિવિધ કેસિસના કવરેજ રૂપમાં ‘પૅરેલલ ટ્રાયલ’ કે સમાંતર રીતે કાર્યવાહીના મુદ્દે અનેક અદાલતોમાં અરજીઓ કરવામાં આવી છે. એ ઉપરાંત મુંબઈ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પણ આવી એક અરજીમાં આદેશ નહીં આપવાનો નિર્ણય લઈ ચૂક્યા છે. તેથી ન્યાયમૂર્તિ એસ. એસ. શિંદેના વડપણ હેઠળની બેન્ચે આ બાબતે આદેશ આપવો ન જોઈએ.’
ટીઆરપી કૌભાંડની મુંબઈ પોલીસ દ્વારા તપાસ પર સ્ટે ઑર્ડર અને કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી કરતી રિપબ્લિક ટીવીની માલિક કંપની એઆરજી આઉટલીયર મીડિયા પ્રાઇવેટ લિમિટેડની અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ એસ. એસ. શિંદે અને ન્યાયમૂર્તિ એમ. એસ. કર્ણિકની ડિવિઝન બેન્ચ સમક્ષ ચાલે છે. એ અરજીના અનુસંધાને ઍડ્વોકેટ પોન્ડાએ મુંબઈ પોલીસે મંગળવારે ફાઇલ કરેલી ચાર્જશીટને પડકારવા માટે અરજીમાં સુધારા કરવાની પરવાનગી અદાલત પાસે માગી હતી.