કોરોનાના ભયથી સોસાયટી હાઉસમેડ ને ડ્રાઇવરો પાસે હેલ્થ સર્ટિફિકેટ માગે છે
ઑબેરૉય ગાર્ડન્સ સોસાયટી
કોરોના વાઇરસના રોગચાળાનો ભય એવો ફેલાયો છે કે લોકો તેમના ઘર-હાઉસિંગ સોસાયટીમાં બહારથી લોકોને અંદર આવવા દેવામાં અતિશય સાવચેતી રાખે છે. સંખ્યાબંધ લોકો તેમની ઘરનોકરાણીઓ અને ડ્રાઇવરોને હેલ્થ સર્ટિફિકેટ લઈને આવવાનું કહે છે. કાંદિવલીની ઑબેરૉય ગાર્ડન્સ સોસાયટીના રહેવાસીઓએ ઘરનોકરાણીઓને કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ લઈને આવવાનું કહ્યું છે. મુંબઈ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી ફેડરેશને ફક્ત ફુલ ટાઇમ નોકરાણીઓને ઘરમાં જવા દેવાની છૂટ આપવા બાબતે બાવીસ જૂને માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડ્યાં પછી આ પ્રકારની સમસ્યાઓ ઉપસ્થિત થવા માંડી હતી.
આશ્ચર્યની વાત એવી છે કે એક રહેવાસીએ પાલિકાના આર-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર અને મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી છે કે તેમની સોસાયટીના રહેવાસી એક ડૉક્ટર ઘરનોકરો અને નોકરાણીઓને તપાસ્યા વગર એવી ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન્સ લખી આપે છે. ૨૪ જૂને મોકલેલાં પત્રોમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ‘ડૉક્ટરે નોકરાણીની કોવિડ-19 ટેસ્ટ માટે મને ખોટું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું. એ પ્રિસ્ક્રિપ્શનમાં નોકરાણીને સાત દિવસથી તાવ આવતો હોવાની ખોટી વિગત લખી હતી.
ADVERTISEMENT
એ ઉપરાંત ડેન્ગી અને મલેરિયાની ટેસ્ટ અગાઉ થઈ ચૂકી હોવાની પણ ખોટી વિગત લખી હતી. મારી નોકરાણી તે ડૉક્ટરની પાસે ગઈ નહોતી અને તેણે ૫૦૦ રૂપિયા લઈને સર્ટિફિકેટ આપી દીધું હતું. એ બાબત નીતિમત્તા વિરુદ્ધ છે. જોકે સોસાયટીઓમાં પાર્ટટાઇમ ઘરનોકરો અને નોકરાણીઓને પ્રવેશ અપાતો નથી, પરંતુ જુદાં-જુદાં રિપેરવર્ક માટે આવતા અલગ-અલગ કાર્યો માટેના ટેક્નિશ્યન્સને હેલ્થ સર્ટિફિકેટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. સોસાયટીની મૅનેજિંગ કમિટીના સભ્યોનું એ વલણ ભેદભાવભર્યું છે.’