કોવિડ કેસની સંખ્યા 31.27 લાખને પાર કરી ગઈ: ડેથ રેટ વિશ્વમાં સૌથી ઓછો
પ્રતીકાત્મક તસવીર
કોરોના સામેની લડતમાં ભારતને સફળતા મળી છે. દેશમાં મૃત્યુદર ઘટીને ૧.૫૮ ટકા થયો છે. રિકવરી રેટ વધીને ૭૫ ટકાથી વધુ તેમ જ ઍક્ટિવ કેસ ૨૨.૨ ટકા જ રહ્યા છે.
ગઈ કાલે સવારે આઠ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોરોના ઇન્ફેક્શનના ૬૦,૯૭૫ નવા કેસ નોંધાવા સાથે ભારતના કોરોના કેસની અત્યાર સુધીની કુલ સંખ્યા ૩૧,૨૭,૩૨૩ પર પહોંચી છે. સાજા થયેલા દરદીઓની સંખ્યા ૨૪,૦૪,૫૮૫ પર પહોંચતાં રિકવરી રેટ ૭૫.૯૨ ટકા નોંધાયો છે. ૨૪ કલાકમાં વધુ ૮૪૮ જણનાં કોરોના ઇન્ફેક્શનથી મૃત્યુ થતાં રોગચાળાનો મરણાંક ૫૮,૩૯૦ પર પહોંચ્યો છે. કુલ કેસના ૨૨.૨૪ ટકા એટલે કે ૭,૦૪,૩૪૮ ઍક્ટિવ કેસ નોંધાયા છે.
ગઈ ૭ ઑગસ્ટે ભારતના કોરોના કેસનો આંકડો ૨૦ લાખને પાર કરી ગયો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના આંકડા પ્રમાણે ૨૪ ઑગસ્ટ સુધીમાં ૩,૬૮,૨૭,૫૨૦ સૅમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. એમાંથી ૯,૨૫,૩૮૩ સૅમ્પલ્સ ગયા સોમવારે ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. ૨૪ કલાકમાં કોરોના ઇન્ફેક્શનથી મૃત્યુ પામેલા ૮૪૮ જણમાં ૨૧૨ મહારાષ્ટ્રના, ૧૨૭ કર્ણાટકના, ૯૭ તામિલનાડુના, ૮૬ આંધ્ર પ્રદેશના, ૬૧ ઉત્તર પ્રદેશના, ૫૭ પશ્ચિમ બંગાળના, ૪૩ પંજાબના, ૧૮ ઝારખંડના, ૧૭ મધ્ય પ્રદેશના, ૧૩ દિલ્હીના, ૧૩ ગુજરાતના, ૧૨ રાજસ્થાન અને ૧૧ કેરળના નોંધાયા હતા. ૧૦ આસામના, ૧૦ હરિયાણાના, ૧૦ ઓડિશાના, ૯ છત્તીસગઢના, ૯ તેલંગણના, ૭ જમ્મુ-કાશ્મીરના, ૭ ઉત્તરાખંડના, ૫ પુડ્ડુચેરીના, ૫ ત્રિપુરાના, ૪ ગોવાના, બે આંદામાનના અને બે નિકોબારના નોંધાયા હતા.