દેશના કુલ સક્રિય કેસ પૈકી ૭૫ ટકા કોરોના કેસ કેરલા અને મહારાષ્ટ્રમાં
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કોરોના-સંક્રમણ વિરુદ્ધ દેશભરમાં રસીકરણનો બીજો તબક્કો મંગળવારથી શરૂ થયો હતો, જે વિશે માહિતી આપતાં સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે મંગળવાર બપોર સુધી દેશમાં કુલ ૧.૪૮ કરોડથી વધુ વૅક્સિન ડોઝ આપી ચુકાયા હતા, જેમાં ૨.૦૮ લાખ વૅક્સિન ડોઝ એવા લોકોને આપવામાં આવ્યા હતા જેમની ઉંમર ૪૫થી ૫૯ વર્ષ સુધીની હતી.
આ સિવાય દેશમાં શરૂ થયેલા રસીકરણ અભિયાનના બીજા તબક્કાના એક દિવસ પહેલાંથી જ દેશભરમાં વૅક્સિનેશન માટે કોવિન ઍપ પર ૫૦ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી લીધી હતી. જોકે રસીકરણ વચ્ચે દેશભરમાં વધી રહેલા કોરોના-સંક્રમણના કેસની સ્થિતિ વિશે જણાવતાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલે જણાવ્યું કે કોરોના-સંક્રમણ સામે બચાવ માટે જાહેર સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઇડલાઇનનું ચોક્કસપણે પાલન કરવું જરૂરી છે. દેશમાં વધી રહેલા સંક્રમણના કેસને મુદ્દે તેમણે સલાહ આપી હતી કે મોટા કાર્યક્રમો, પાર્ટીઓ, લગ્નો વગેરેમાં જવાથી બચો, કારણ કે આવા કાર્યક્રમ મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાવવાનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
દેશમાં કોરોના-સંક્રમણની સ્થિતિ વિશે માહિતી આપતાં સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરીએ જણાવ્યું હતું કે દેશના કુલ સક્રિય કેસોમાંથી ૭૫ ટકા કેસ કેરલા અને મહારાષ્ટ્રમાં છે.
જ્યારે દેશમાં કુલ સક્રિય કેસનો આંકડો ૧,૬૮,૦૦૦ છે. એ સિવાય દેશનાં અનેક રાજ્યોમાં કોરોના-સંક્રમણના કેસમાં વધારો નોંધાયો હતો. તેમણે આપેલી માહિતી મુજબ દેશમાં અત્યાર સુધી ૨૧ કરોડથી વધુ કોરોના-ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતાં. દેશભરમાં કોવિડથી મૃત્યુનું પ્રમાણ ૧.૪૧ ટકા હતું.