Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 86,432 કેસ, 1,089 દર્દીઓનાં મોત
બાળકનું તાપમાન તપાસતા આરોગ્ય કર્મચારીઓ (ફાઈલ તસવીર)
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ વધુ એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. સતત ત્રીજા દિવસે દેશમાં 80,000થી વધુ કેસ નોંધાયા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 86,432 નવા કેસ નોંધાયા છે અને 1,089 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 40,23,179 કેસ થઈ ગયા છે. જેમાંથી 8,46,395 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 31,07,223 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 70,072 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 68,472 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 77.2 ટકા છે, જ્યારે મોતની ટકાવારી 1.7 ટકા છે. વિશ્વમાં કુલ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન ત્રીજા નંબર પર છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 19,218 નવા કેસ નોંધાયા છે અને 378 લોકોના મોત થયા છે. જ્યારે 13,289 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 8,63,062 થઈ ગયો છે. તેમાંથી 2,11,325 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 25,964 લોકો મૃત્યુ પામ્યા છે અને 6,25,773 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,320 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 1,218 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,01,695 થઈ ગયો છે. જેમાંથી 16,219 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,078 લોકોના મોત થયા છે અને 82,273 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં ચાર સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 4,77,38,491 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે શુક્રવારે 10,59,346 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.