Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 48,268 કેસ, 551 દર્દીઓનાં મોત
તસવીર સૌજન્ય: એએફપી
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 81 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.21 લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડાક દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કે કોરોનાના વધતા કેસમાં આંશિક રાહત મળી છે અને છેલ્લા કેટલાક દિવસથી 50,000 કરતા ઓછા કેસ નોંધાય છે. દેશમાં દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી હવે આશા બંધાઈ છે કે, કોરોનાથી ઝપડથી મુક્તિ મળી જશે. સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.
શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર 48,268 નવા કેસ નોંધાયા છે અને 551 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 81,37,119 કેસ થઈ ગયા છે. જેમાંથી 5,82,649 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 74,32,829 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,21,641 લોકો મૃત્યુ પામ્યા છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 6,190 નવા કેસ નોંધાયા છે અને 127 લોકોના મોત થયા છે. જ્યારે 8,241 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 16,72,858 થઈ ગયો છે. તેમાંથી 1,25,971 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 43,837 લોકો મૃત્યુ પામ્યા છે અને 15,03,050 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધારે દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 969 નવા કેસ નોંધાયા હતા અને 6 લોકોના મોત થયા હતા. જ્યારે 1,027 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,71,847 થઈ ગયો છે. જેમાંથી 13,168 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,711 લોકોના મોત થયા છે અને 1,55,968 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 29 ઓક્ટોબર સુધીમાં કોરોનાના 10,77,28,088 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે શુક્રવારે 29 ઓક્ટોબરે 11,64,648 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.