Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 96,424 કેસ, 1,174 દર્દીઓનાં મોત
તસવીર: સમીર આબેદી
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. છેલ્લા કેટલાય દિવસથી દરરોજ સરેરાશ 90,000થી વધુ કેસ નોંધાય છે. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો એક લાખને પાર કરી જશે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 52 લાખને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 96,424 નવા કેસ નોંધાયા છે અને 1,174 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 52,14,678 કેસ થઈ ગયા છે. જેમાંથી 10,17,754 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 41,12,552 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 84,372 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 24,619 નવા કેસ નોંધાયા છે અને 468 લોકોના મોત થયા છે. જ્યારે 19,522 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 11,45,840 થઈ ગયો છે. તેમાંથી 3,03,135 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 31,351 લોકો મૃત્યુ પામ્યા છે અને 8,12,354 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,379 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 1,652 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,19,088 થઈ ગયો છે. જેમાંથી 16,007 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,273 લોકોના મોત થયા છે અને 99,681 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 17 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 6,15,72,343 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ગુરુવારે 10,06,615 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.