Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 85,362 કેસ, 1,089 દર્દીઓનાં મોત
તસવીર: સમીર આબેદી
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 59 લાખને પાર થઈ ગઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 85,362 નવા કેસ નોંધાયા છે અને 1,089 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 59,03,969 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,60,969 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 48,49,584 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 93,420 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 93,379 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે. જ્યારે દેશમાં સાજા થવાનો દર 82.1 ટકા થયો છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 17,794 નવા કેસ નોંધાયા છે અને 416 લોકોના મોત થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં સૌથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 19,592 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 13,00,757 થઈ ગયો છે. તેમાંથી 2,73,190 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 34,761 લોકો મૃત્યુ પામ્યા છે અને 9,92,806 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,442 નવા કેસ નોંધાયા હતા અને 12 લોકોના મોત થયા હતા. જ્યારે 1,279 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,30,391 થઈ ગયો છે. જેમાંથી 16,505 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,396 લોકોના મોત થયા છે અને 1,10,358 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 25 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 7,02,69,975 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે 13,41,535 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.