Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 74,383 કેસ, 918 દર્દીઓનાં મોત
ફાઈલ તસવીર
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70 લાખને પાર ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90 હજારથી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ છેલ્લા બે દિવસથી ફરી 70,000થી વધુ કેસ નોંધાયા છે. ઘણા દિવસો બાદ પૉઝિટિવ કેસોની સંખ્યા 70,000થી વધુ નોંધાઈ છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 74,383 નવા કેસ નોંધાયા છે અને 918 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 70,53,806 કેસ થઈ ગયા છે. જેમાંથી 8,67,496 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 60,77,976 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 89,154 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,08,334 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 11,416 નવા કેસ નોંધાયા છે અને 308 લોકોના મોત થયા છે. જ્યારે 26,440 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 15,17,434 થઈ ગયો છે. તેમાંથી 2,21,615 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 40,040 લોકો મૃત્યુ પામ્યા છે અને 12,55,779 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,221 નવા કેસ નોંધાયા હતા અને 10 લોકોના મોત થયા હતા. જ્યારે 1,456 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,50,253 થઈ ગયો છે. જેમાંથી 15,936 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,557 લોકોના મોત થયા છે અને 1,30,760 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં નવ ઓક્ટોબર સુધીમાં કોરોનાના 8,57,98,698 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.