Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 73,272 કેસ, 926 દર્દીઓનાં મોત
તસવીર: સતેજ શિંદે
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70 લાખને નજીક પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90 હજારથી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ શુક્રવારે ફરી 70,000થી વધુ કેસ નોંધાયા છે. ઘણા દિવસો બાદ પોઝિટિવ કેસોની સંખ્યા 70,000થી વધુ નોંધાઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 73,272 નવા કેસ નોંધાયા છે અને 926 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 69,79,424 કેસ થઈ ગયા છે. જેમાંથી 8,83,185 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 59,88,823 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 82,753 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,07,416 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.
જ્યારે બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી શુક્રવારે વિશ્વભરમાં કોરોના વાયરસના નવા નોંધાયેલા કેસમાં ઉછાળો આવ્યાનું કહેવામાં આવ્યું છે. શુક્રવારે નોંધાયેલા કેસ ગત અઠવાડિયે નોંધાયેલા સર્વાધિક કેસથી 12,000 વધારે હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે વિશ્વામાં અત્યાર સુધીના સૌથી વધારે ।50,766 પૉઝિટિવ કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 12,134 નવા કેસ નોંધાયા છે અને 302 લોકોના મોત થયા છે. જ્યારે 17,323 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 15,06,018 થઈ ગયો છે. તેમાંથી 2,36,947 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 39,732 લોકો મૃત્યુ પામ્યા છે અને 12,29,339 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,243 નવા કેસ નોંધાયા હતા અને 9 લોકોના મોત થયા હતા. જ્યારે 1,518 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,49,194 થઈ ગયો છે. જેમાંથી 16,181 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,547 લોકોના મોત થયા છે અને 1,29,304 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં નવ ઓક્ટોબર સુધીમાં કોરોનાના 8,57,98,698 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, શુક્રવારે 11,64,018 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.