Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 62,538 કેસ, 886 દર્દીઓનાં મોત
ફાઈલ તસવીર
દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં હવે સંક્રમિતોનો આંકડો 20 લાખને પાર થઈ ગયો છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 62,538 નવા કેસ નોંધાયા છે અને 886 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 20,27,074 કેસ નોંધાયા છે. જેમાંથી 6,07,384 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 13,78,105 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 41,585 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 11,514 નવા કેસ નોંધાયા છે અને 316 લોકોના મોત થયા છે. જ્યારે 10,854 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4,79,779 થઈ ગયો છે. તેમાંથી 1,46,612 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 16,792 લોકો મૃત્યુ પામ્યા છે અને 3,16,375 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,034 નવા કેસ નોંધાયા હતા અને 27 લોકોના મોત થયા હતા. જ્યારે 917 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 67,811 થઈ ગયો છે. જેમાંથી 14,905 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,583 લોકોના મોત થયા છે અને 50,350 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં છ ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2,27,24,134 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 5,74,783 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.