Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 28,701 કેસ, 500 દર્દીઓનાં મોત
તસવીર સૌજન્ય: બિપિન કોકાટે
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે સતત ત્રીજા દિવસે પણ 27,000થી વધુ કેસ નોંધાયા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં રવિવારે સવારે આઠ વાગ્યાથી સોમવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 28,701 નવા કેસ નોંધાયા છે અને 500 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 8,78,254 કેસ નોંધાયા છે. જેમાંથી 3,01,609 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,53,471 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 23,174 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,827 નવા કેસ નોંધાયા છે અને 173 લોકોના મોત થયા છે. જ્યારે 3,340 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,54,427 થઈ ગયો છે. તેમાંથી 1,03,813 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 10,289 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,40,325 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 879 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકોના મોત થયા હતા. જ્યારે 513 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 41,906 થઈ ગયો છે. જેમાંથી 10,613 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,047 લોકોના મોત થયા છે અને 29,198 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 12 જૂલાઈ સુધીમાં કોરોના વાયરસના કુલ 1,18,06,256 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રવિવારે 2,19,103 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.