Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 22,752 નવા કેસ, 482ના મોત
બાંદ્રાના હીલ રોડ પર PPE કીટ પહેરીને ફરજ બજાવવા નીકળેલા પાલિકાના કર્મચારીઓ (તસવીર: શાદાબ ખાન)
દેશમાં છેલ્લા કેટલાકક દિવસોથી કોરોના વાયરસ (COVID-19) સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 22,752 નવા કેસ નોંધાયા છે અને 482 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 7,42.417 કેસ નોંધાયા છે. જેમાંથી 2,64,994 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4,56,831 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 20,642 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 5,134 નવા કેસ નોંધાયા છે અને 224 લોકોના મોત થયા છે. જ્યારે 3,296 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,17,121 થઈ ગયો છે. તેમાંથી 89,313 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 9,250 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,18,558 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 778 નવા કેસ નોંધાયા હતા અને 17 લોકોના મોત થયા હતા. જ્યારે 421 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 37,550 થઈ ગયો છે. જેમાંથી 8,853 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 1,977 લોકોના મોત થયા છે અને 26,720 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ પ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,4,73 ,771 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 2,62,679 ટેસ્ટ કરાયા હતા.