ભારતમાં 25 દિવસમાં કોરોનાના કેસમાં ત્રણ ગણો વધારો, 50 ટકા લોકો સાજા થયા
ફાઈલ તસવીર
શનિવારે દેશમાં કોરોના વાયરસ (COVID-19) સંક્રમિતોનો આંકડો ત્રણ લાખને પાર કરી ગયો છે. આજે સવારે જાહેર થયેલા આંકડાઓએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. રવિવાર સવારના આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,929 નવા કેસ નોંધાયા અને 311 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3,20,922 કન્ફર્મ કેસ છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 100થી એક લાખ સુધી પહોંચવા માટે 64 દિવસ લાગ્યા હતા. જ્યારે આ આંકડો બે લાખ સુધી પહોંચતા 15 દિવસ લાગ્યા હતા અને દસ દિવસમાં તો સંક્રમિતોની સંખ્યા ત્રણ લાખ કરતા વધુ થઈ ગઈ. આમ દેશમાં 25 દિવસમાં કોરોનાના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે 50 ટકા લોકો સાજા પણ થયા છે.
ADVERTISEMENT
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં અત્યારે કોરોનાના કુલ 1,49,348 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 9,195 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો 1,62,379 લોકો સાજા પણ થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં 49.9 ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે.
કોરોના સંક્રમણના કુલ કેસમાંથી 50 ટકા કેસ તો દેશના પાંચ શહેરોમાં છે. મહારાષ્ટ્રમાં 32 ટકા કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,04,568 છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 3,427 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,830 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ કેસોમાંથી 50 ટકા કેસ તો માત્ર મુંબઈમાં જ છે. જો મહારાષ્ટ્ર અને તામિલનાડુના કેસના આંકડા જોડવામાં આવે તો 45 ટકા કેસ અહીં જ નોંધાયા છે. ગુજરાતની વાત કરીએ તો અહીં કુલ 23,038 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે.
મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પુણે, દિલ્હી, ગુજરાતનું અમદાવાદ, તામિલનાડુનું ચેન્નઈ અને રાજસ્થાનનું જયપુર કોરોનાને કારણે સૌથી વધુ પ્રભાવિત છે. આ પાંચ શેહરોના આંકડાઓ દેશના કુલ આંકડાઓના લગભગ 50 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 55.07 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 1.43 લાખ સેમ્પલની તપાસ એક જ દિવસમાં થઈ હતી.