ચિંતા કરાવે છે ડેથ રેટ
વરલીમાં કોરોના-ટેસ્ટ કરતા હેલ્થ વર્કર્સ. તસવીર : આશિષ રાજે
કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા બાબતે ઑક્ટોબરના પ્રથમ પખવાડિયામાં ઝાઝો ફેર ન પડ્યો, પરંતુ બીજા પખવાડિયામાં ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ૧૬ ટકાથી ઘટીને ૧૦ ટકાથી નીચે ઊતર્યો છે. જોકે મૃત્યુદર હજી ચિંતાનો વિષય છે.
૧૫ ઑક્ટોબર સુધી કોરોનાના ૩૧,૦૦૦ દરદીઓ હતા. ઑગસ્ટમાં પણ દરદીઓની સંખ્યા એટલી જ હતી. એ વખતે ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ૧૫ ટકા હતો. ૨૮ ઑક્ટોબર સુધી દરદીઓની સંખ્યા ૧૬,૦૦૦ અને ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ૧૦ ટકાથી નીચે હતો. જુલાઈ મહિનામાં કોરોના ટેસ્ટનું રોજનું સરેરાશ પ્રમાણ ૬૪૦૦ હતું, જે ઑક્ટોબર મહિનામાં ૧૩,૧૦૦ પર પહોંચ્યું હતું. છેલ્લા ચાર મહિનામાં મરણાંક લગભગ સરખો રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી ૨૮ ઑક્ટોબરના ગાળામાં ૧૨૪૨ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા. એમાં ૯૨ ટકા મૃતકોની ઉંમર ૫૦ વર્ષથી વધારે હતી. એકંદરે કોરોનાના નાની ઉંમરના દરદીઓનાં મૃત્યુનું પ્રમાણ ૧૫ ટકાથી ઘટીને ૭ ટકા થયું છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના ૫૦થી ૫૯ વર્ષની ઉંમરના ૨૨૪૫ દરદીઓ મૃત્યુ પામ્યા હતા. એ કુલ મરણાંકના ૧૭ ટકા હતા.
દરરોજ ૫૦થી પંચાવનનો મૃત્યુદર હવે ૪૦ પર આવ્યો છે. છેલ્લા અઠવાડિયાથી રોજનો મરણાંક ૩૦થી ૩૫ વચ્ચે રહે છે. જે રીતે નવા કેસની સંખ્યા ઘટી રહી છે એ રીતે મરણાંક પણ ઘટશે. એને માટે થોડી રાહ જોવી પડશે.
- સુરેશ કાકાણી, ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર