દેશભરમાં અત્યાર સુધી 9 કરોડ લોકોની કરાઈ ટેસ્ટ
કોરોના ટેસ્ટ
ભારતમાં મંગળવારે એક દિવસમાં કોરોનાના ૬૩,૫૦૯ કેસ નોંધાવા સાથે કેસની કુલ સંખ્યા ૭૨,૩૯,૩૮૯ ઉપર પહોંચી હતી, જ્યારે સંક્રમણમાંથી મુક્ત થનારા લોકોનો આંક ૬૩ લાખને આંબી ગયો હતો, તેમ આરોગ્ય મંત્રાલયના ડેટાના આધારે જાણવા મળ્યું હતું.
આ સાથે રિકવરી રેટ ૮૭.૦૫ નોંધાયો હતો. આઇસીએમઆરના જણાવ્યા પ્રમાણે દેશભરમાં ૧૩ ઑક્ટોબર સુધી ૯,૦૦,૯૦,૧૨૨ જેટલા સૅમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યાં છે. જેમાં ગઈ કાલે ૧૧,૪૫,૦૧૫ ટેસ્ટ કરાઈ હતી. દેશમાં ૧૯૦૦ કરતાં વધુ લૅબોરેટરીઓ દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ૨૪ કલાકમાં ૭૩૦ લોકોએ કોરોનાના કારણે જાન ગુમાવતાં સમગ્ર દેશમાં કોરોનાના કારણે નીપજેલાં મોતની કુલ સંખ્યા ૧,૧૦,૫૮૬ થઈ હતી.
ADVERTISEMENT
સતત છઠ્ઠા દિવસે દેશમાં કોવિડના અૅક્ટિવ કેસની સંખ્યા ૯ લાખ કરતાં નીચે રહેવા પામી છે. ભારતમાં કોરોનાના ૮,૨૬,૮૭૬ અૅક્ટિવ કેસ છે, જ્યારે ૬૩,૦૧,૯૨૭ લોકો આ બીમારીમાંથી સાજા થયા છે. કોવિડનો મૃત્યુ દર ૧.૫૩ ટકા નોંધાયો હતો.
એક વખત સંક્રમિત થયાના ૧૦૦ દિવસ બાદ ફરીથી થઈ શકે કોરોના : આઇસીએમઆર
આઇસીએમઆરએ કહ્યું કે દેશમાં કોરોના વાઇરસના ફરીથી સંક્રમણના ૩ નવા કેસ સામે આવ્યા છે. એમાંથી બે કેસ મુંબઈમાં અને એક કેસ અમદાવાદમાંથી સામે આવ્યો છે. આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે ફરીથી સંક્રમિત થવાની સમયસીમા ૧૦૦ દિવસ નક્કી કરવામાં આવી છે. અનેક રિસર્ચ બાદ એ સામે આવ્યું છે કે એક વખત સંક્રમિત થનાર વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે ચાર મહિના સુધી ઍન્ટિબૉડી હાજર રહે છે.
ભાર્ગવે કહ્યું કે ફરીથી સંક્રમણ એક સમસ્યા છે, જે પહેલી વાર હૉન્ગકૉન્ગમાં સામે આવ્યો હતો. તેઓએ કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન તરફથી અમને ડેટા મળ્યો છે, જેમાં દુનિયાભરમાં ફરીથી સંક્રમણના બે ડઝન મામલાઓનો ઉલ્લેખ છે. ભાર્ગવે કહ્યું કે ‘મેં’એ પણ જણાવ્યું નથી કે કોઈ વ્યક્તિ ૯૦ દિવસ, ૧૦૦ દિવસ કે ૧૧૦ દિવસ બાદ ફરીથી સંક્રમિત થઈ શકે છે, પણ હવે સરકારે એની સમયસીમા ૧૦૦ દિવસ નક્કી કરી દીધી છે. તેના પ્રમાણે ૧૦૦ દિવસ સુધી ફરીથી સંક્રમિત થવાનો ખતરો છે.