Coronavirus Scare: 13.6 કરોડ નોકરીઓ પર તોળાય છે જોખમ
પ્રતિકાત્મક તસવીર
કોરોના વાઇરસને કારણે ફેલાતી ચિંતાઓ ઘટવાને બદલે દિવસે દિવસે વધી રહી છે ત્યારે મિંટમાં આવેલા એક રિપોર્ટ અનુસાર વાઇરસનું સંકટ ટળશે પછી સૌથી મોટી ચિંતા હશે નોકરીઓની! કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ – CIIએ ચિંતા વ્યક્ત કરી છે કે વાઇરસનું જોખમ ટળશે પછી મંદીની સપાટામાં નોકરીઓ સાફ થઇ જાય તેમ બને. જો વ્યાપાર જગતને કળ વળતા વાર લાગશે અને આ સમય ઑક્ટોબર સુધી ખેંચાઇ જશે તો પ્રવાસને અને હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીની ૨ કરોડ નોકરીઓ જોખમમાં હશે. મિંટના આ રિપોર્ટ અનુસાર દેશની ૧૩.૩ કરોડ નોકરીઓ જે ખેતી સાથે સંબંધિત નથી તે જોખમમાં છે. નેશનલ સેમ્પલ સરવે અને પિરિયોડિક લેબર ફોર્સ સરવેનાં આંકડા અનુસાર જે લોકો કોન્ટ્રાક્ટ પર નોકરી કરી રહ્યા છે તેમની નોકરી પર તલવાર તોળાઇ રહી છે. આમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓની સંખ્યા દેશમાં વધી છે ત્યારે એ નોંધવું રહ્યું કે દેશમાં 50 લાખ કામદારો તો એક વર્ષથી ઓછી અવધીની કરાર પર કામ કરી રહ્યા છે. મિંટના અહેવાલમાં જેએનયુના પ્રોફેસર અને ઇકોનોમિસ્ટ સંતોષ મેરહોત્રાએ રજૂ કરેલા અન્ય વિશેષજ્ઞો સાથેનાં એક પત્રને આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો છે. આ પેપરમાં ક્ષેત્ર અનુસાર આંકડા અપાયા છે અને ચેતવણી અપાઇ છે કે લોકોએ પોતાની નોકરી પર તોળાઇ રહેલા જોખમને ઓળખવું.