દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 59.52 ટકા
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસના સંક્રમણનો વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રોજના ૧૮,૦૦૦થી વધુ પૉઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ગુરુવાર સવારે પણ જાહેર થયેલા આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૯,૧૪૮ નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે ૪૩૪ દરદીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ૬,૦૪,૬૪૧ કન્ફર્મ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાઇરસના હવે ૨,૨૬,૯૪૭ ઍક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં ૧૭,૮૩૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ ૩,૫૯,૮૬૦ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. આમ ભારતમાં અત્યારે ૫૯.૫૨ ટકાનો રિકવરી-રેટ છે.
બીજી તરફ, ગુજરાતમાં બુધવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ ૨૪ કલાકમાં ૬૭૫ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૨૧ દરદીનાં મોત થયાં છે. કોરોના વાઇરસના કારણે રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદ અને સુરતની છે. અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને ૨૧૫ કેસ નોંધાયા છે, જ્યારે સુરતના ૨૦૧ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે ૨૪ કલાકમાં ૨૦ દરદીનાં મોત થયાં છે, જેમાં અમદાવાદમાં ૮, સુરતમાં ૪, રાજકોટમાં ૧, સુરતમાં ૧, ભરૂચમાં ૧. અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં ૧ એમ કુલ ૨૦ દરદીનાં મોત થયાં છે. રાજ્યમાં ૭૪૧૧ ઍક્ટિવ કેસ છે, જે પૈકીના ૬૩ વૅન્ટિલેટર પર છે.