મુંબઈ : મુલુંડ દેરાસરમાંના 20 જણને કોરોના
જૈન દેરાસર
જૈન સમાજમાં હાહાકાર મચી જવા જેવી ઘટના બની છે. મુલુંડ-વેસ્ટમાં આવેલા સર્વોદય નગર દેરાસરમાંનાં જૈન સાધુ-સાધ્વીજીઓ સહિતના ૨૦ લોકોના કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. આમાં ૧૬ જૈન સાધ્વીજીઓ અને ૪ જૈન સાધુઓ હોવાની વાત જાણવા મળી છે.
કમિટીના એક સભ્યએ જણાવ્યું હતું કે હાલમાં બે સિવાયના દરદીઓની તબિયત સ્થિર છે અને જેમની હાલત નાજુક છે એ બે મહિલાઓને સૈફી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી છે.
ADVERTISEMENT
દેરાસરમાં કઈ રીતે કોરોના ફેલાયો છે એનો કોઈને ખ્યાલ નથી. અત્યારે દેરાસરમાં ૪૦ જૈન મહારાજસાહેબો તથા મહાસતીજીઓ છે. દેરાસરમાંના જ ૨૦ જણ કોરોના-પૉઝિટિવ છે.
કમિટીના એક સભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું કે ‘કુલ ૪૦ મહારાજસાહેબ અને મહાસતીજી ચોમાસું કરવા આવ્યાં હતાં. ગયા વીકમાં આમાંનાં કેટલાંક મહારાજસાહેબ અને મહાસતીજીઓની હાલત ખરાબ થતાં તેઓમાં કોરોનાનાં લક્ષણ જણાયા હતા. ત્યાર બાદ તેમની કોરોના-ટેસ્ટ કરાવાતાં કુલ ૨૦ જણના કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. હાલમાં આમાંના કેટલાક જણને મલાડમાં સારવાર માટે રખાયા છે.
જૈન મંદિરમાં રહેતી ૨૦ વ્યક્તિ કોરોના-પૉઝિટિવ આવી છે. આ ઉપરાંત મંદિરમાંનાં અન્ય સાધુ-સાધ્વીજીઓને પણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
- રાહુલ સાળુંખે, મુલુંડના ‘ટી’-વૉર્ડના હેલ્થ ઑફિસર