ચેન્નઇ અને તામિલનાડુના ત્રણ જિલ્લાઓમાં લૉકડાઉન
ફાઈલ તસવીર
તામિલનાડુના મુખ્યમંત્રી એ. કે. પલાનીસ્વામીએ ચેન્નઇ અને ચેંગાલપટ્ટુ, કાંચીપુરમ અને તિરુવેલ્લુર જિલ્લાઓના કેટલાક ભાગોમાં તા. ૧૯થી ૩૦ જૂન સુધી ૧૨ દિવસના સંપૂર્ણ લૉકડાઉનની સોમવારે જાહેરાત કરી હતી. જોકે, સરકારે જરૂરી સેવાઓ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.
પલાનીસ્વામીની જાહેરાતમાં જાહેર સ્વાસ્થ્ય અને મેડિકલ નિષ્ણાતોની ભલામણો તથા સોમવારે બપોરે યોજાયેલી કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચાને અનુસરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૧ અને ૨૮ જૂન (રવિવાર)ના રોજ કોઇ રાહત આપવામાં આવશે નહીં. તે બે દિવસે માત્ર દૂધનો પુરવઠો અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
“કરિયાણાની દુકાનો, પ્રોવિઝન સ્ટોર અને પેટ્રોલ પમ્પ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ચાલુ રહી શકશે,” તેમ તેમણે જણાવ્યું હતું.
“સામાન્ય જનતાને વાહનોનો ઉપયોગ કર્યા વિના તથા તેમના રહેઠાણથી બે કિલોમીટરની અંદર આવેલા સ્ટોર્સમાંથી જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે,” તેમ પલાનીસ્વામીએ જણાવ્યું હતું.