મુંબઈ: ઑડ-ઇવન ફૉર્મ્યુલા મુજબ બાંદરા-વેસ્ટની દુકાનો ખૂલશે
મંગળવારે BMC અને પોલીસ દ્વારા બાન્દ્રા પશ્ચિમમાં બજાર રોડ બંધ કરાયો હતો.
કોવિડ-19ના વ્યાપને વધતો અટકાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) હવે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડતા સ્ટોર્સ માટે ઓડ-ઇવન (એકી-બેકી)ની ફૉર્મ્યુલા અજમાવવાની યોજના ઘડી રહ્યું છે. અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વિનાયક વિસ્પુતેએ મંગળવારે બાંદરા-વેસ્ટના બજાર રોડ ખાતેના દુકાનદારોને આ મામલે પત્ર જારી કર્યો હતો. લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવાના બહાના હેઠળ ફરતા જોવા મળ્યા બાદ આમ કરવામાં આવ્યું હતું.
શહેરનાં ભીડ ધરાવતાં સ્થળોમાં કોવિડના કેસમાં થયેલા વધારાને કારણે પણ આ નિર્ણય લેવાયો હતો. કરિયાણાની ઘણી દુકાનો ધરાવતા બજાર રોડની આસપાસ રહેણાક વિસ્તારો આવેલા છે. એચ વેસ્ટ વૉર્ડમાં બાંદરા-વેસ્ટ, ખાર અને સાન્તાક્રુઝ-વેસ્ટનો સમાવેશ થાય છે તથા આ વિસ્તારમાં અત્યાર સુધીમાં ૧૬ પૉઝિટિવ કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
વિસ્પુતેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ નિર્ણય પોલીસ સાથે વાટાઘાટ કરીને લેવાયો છે અને તેમનું પણ માનવું હતું કે વધુ કડક પગલાં ભરીને લોકોની અવરજવરને નિયંત્રિત કરવી જરૂરી છે, કારણ કે વારંવાર ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં બજાર રોડ પર લોકોનો જમાવડો યથાવત્ રહ્યો હતો. અમે આ સ્થિતિ જોઈ અને નોંધ્યું કે ઘણા લોકો બસ ખાલી વાતોનાં વડાં કરવા આવે છે. હવે જ્યારે દુકાનો જ બંધ હશે ત્યારે તેમની પાસે કોઈ દલીલ રહેશે નહીં.’