મુંબઈ : કોરોના પેશન્ટ્સ ઘણા મળ્યા, ઘણા હજી છૂ
મલાડના અપ્પાપાડામાં સુધરાઈના હેલ્થ વર્કરોએ ઘેર-ઘેર જઈને ચેકિંગ હાથ ધર્યું હતું. (ફાઇલ તસવીર)
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) અને મુંબઈ પોલીસે કોવિડ-19ના ગુમ થયેલા દર્દીઓના સગડ મેળવવા માટે ઘણા પ્રયત્ન હાથ ધર્યા હોવા છતાં હજી પણ ઘણા દર્દીઓ ટ્રેસ કરી શકાયા નથી. આથી વહીવટી તંત્રના અધિકારીઓએ દર્દીઓની અધિક જાણકારી માટે પ્રાઇવેટ લૅબ્સનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે, જેથી દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી શકાય.
બીએમસીના અધિકારીઓના મતે આ પૈકીના ઘણા દર્દીઓએ ટેસ્ટ દરમ્યાન ખોટાં સરનામાં-ફોનનંબર આપ્યાં હતાં, કારણ કે તેઓ મુંબઈના રહેવાસી નહોતા. હજી ગયા મહિના સુધી પી-નૉર્થ વૉર્ડમાં ૭૦ દર્દીઓ મળી શક્યા નહોતા અને પાલિકાએ તેમના કૉલ ડેટા રેકૉર્ડનો ઉપયોગ કરીને શોધ આદરવા પોલીસની મદદ લીધી હતી.
ADVERTISEMENT
પી-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંજોગ કબરેએ જણાવ્યું હતું કે આ કેસ કુરાર ગાંવ, માલવણી અને દિંડોશી વિસ્તારમાંના હતા અને મોટા ભાગના દર્દી મળી ગયા છે, જ્યારે આશરે નવેક જેટલા હજી ગુમ છે.
તેમણે કહ્યું કે ‘આ દર્દીઓ મોટા ભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારના છે. જ્યારે અમે તેમને શોધ્યા ત્યારે મોટા ભાગના દર્દીઓ સરકારી હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા. અન્ય કેટલાક કિસ્સામાં અમને દર્દીની વિગત ચકાસવા તેમના ઘરે કોઈ મળ્યું નહોતું, કારણ કે સંબંધીઓ તેમની સાથે હૉસ્પિટલમાં હતા. તેઓ ફોન ચાર્જ કરી શકતા ન હોવાથી તેમના સુધી પહોંચી શકાયું નહોતું. તેમણે ફોન ચાલુ કર્યો અથવા ઘરે પાછા ફર્યા પછી જ તેઓ મળ્યા હતા.’
એલ-વૉર્ડના હેલ્થ ઑફિસર ડૉ. જિતેન્દ્ર જાધવે કહ્યું કે ‘શહેર બહારની ટેસ્ટિંગ સુવિધાઓ નબળી હોવાથી દર્દી અહીં આવે છે. તેઓ સરનામાં અને ફોનનંબર ખોટાં આપે છે. અમે અત્યાર સુધીમાં ૨૦૦ દર્દીઓને ટ્રેસ કર્યા છે. જોકે છેલ્લા ૨૦ દિવસથી એક પણ દર્દી ગુમ થયો નથી. પ્રાઇવેટ લૅબોરેટરીએ માહિતી મેળવવા થોડો સમય માગ્યો છે.’
આ દર્દીઓ મોટા ભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારના છે. જ્યારે અમે તેમને શોધ્યા ત્યારે મોટા ભાગના દર્દીઓ સરકારી હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા.
- સંજોગ કબરે, પી-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર