વડોદરામાં 7 પત્રકારો સહિત નવા 16 કેસો નોંધાતાં તંત્રમાં ખળભળાટ
પ્રતીકાત્મક તસવીર
વડોદરા શહેરમાં આજે કોરોના વાઇરસના વધુ ૧૬ કેસ પૉઝિટિવ આવ્યા છે જેમાં ૭ પત્રકારો પણ સામેલ છે. જ્યારે બે દરદીઓએ કોરોના વાઇરસના કારણે જીવ ગુમાવ્યા છે. શહેરની બૅન્ક ઑફ મહારાષ્ટ્રને બંધ કરાઈ છે. કારેલીબાગમાં આવેલી આ બૅન્કની પૉઝિટિવ દરદીએ મુલાકાત લીધી હતી. વડોદરામાં આજે જે નવા ૧૬ પૉઝિટિવ કેસ આવ્યા છે એમાં ૭ પત્રકારોના રિપોર્ટ પણ પૉઝિટિવ છે. વડોદરામાં કોરોનાના કુલ દરદીઓનો આંકડો હવે ૨૭૯ થયો છે. જ્યારે મૃત્યુઆંક ૧૭ પર પહોંચ્યો છે.
૯૦ લોકો સાજા થઈને ઘરે ગયા છે. નવાં બે જે મૃત્યુ નોંધાયા એમાં વારસિયાનાં ૭૫ વર્ષનાં વૃદ્ધા અને ખોડિયારનગરનાં ૬૬ વર્ષનાં વૃદ્ધાનું મૃત્યુ થયું છે. કોરોના પૉઝિટિવ દરદીએ કારેલીબાગમાં આવેલી બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાં મુલાકાત કરી હોવાના કારણે બૅન્કને તાબડતોબ બંધ કરાઈ છે. બૅન્કની બહાર આરોગ્ય વિભાગે નોટિસ લગાવી છે. બૅન્કના કર્મચારીઓને ક્વૉરન્ટીન કરાયા છે. આ બાજુ બૅન્ક બંધ થઈ જતાં ખાતેદારોને હાલાકી પડી રહી છે.