હવે હાઉસિંગ સોસાયટીઓમાં કોરોનાના કેસ વધી રહ્યા છે
એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર
કોરોનાના કેસ હવે હાઉસિંગ સોસાયટીઓમાં વધી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. કોરોનાની શરૂઆત વિદેશથી પાછા ફરેલા ભારતીયોને કારણે થઈ હતી. તેમના સંપર્કમાં આવનારા લોકો એનો ભોગ બન્યા હતા. એ પછી કોરોનાના કેસ ધારાવી અને અન્ય ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વધતા જોવા મળ્યા. ત્યાર બાદ હવે ફરી એક વાર બહુમાળી હાઉસિંગ સોસાયટીઓમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ વિશે માહિતી આપતાં કુર્લા ‘એલ’ વૉર્ડના ડેપ્યુટી કમિશનર મનીષ વાળુંજે કહ્યું હતું કે ‘ઝૂંપડપટ્ટીમાંથી પહેલાં ૮૦થી ૧૦૦ કેસ આવતા હતા, હવે એ ઘટીને ૪૦થી ૬૦ જેટલા થઈ ગયા છે, જ્યારે સંઘર્ષ નગર અને કોહિનૂર સિટી જેવી હાઉસિંગ કૉલોનીમાંથી પહેલાં જ્યાં એકાદ-બે કેસ આવતા હતા ત્યાંથી ૨૫થી ૩૦ જેટલા કેસ આવી રહ્યા છે. લૉકડાઉન ઉપાડી લીધા બાદ લોકો કામ પર જવા લાગ્યા છે અને તેઓ નિયમોનું પાલન નથી કરી રહ્યા. અમે હાલમાં એ બન્ને વિસ્તાર લૉક કરી દીધા છે અને માત્ર એસેશ્યલ સર્વિસીસ જ ખૂલી છે. કોરોના વધુ ન ફેલાય એ માટે એ વિસ્તારોમાં જાતે જઈને દરેકનું ચેકિંગ કરી રહ્યા છીએ. પહેલાં જે શંકાસ્પદ લાગે તેનું જ ચેકિંગ થતું, હવે અમે દરેકનું ચેકિંગ કરી રહ્યા છીએ.’