Coronavirus Outbreak: ગુજરાતનાં મુખ્યમંત્રી આજે કરાવશે Covid-19 ટેસ્ટ
વિજય રૂપાણી.
ગઇકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદનાં કોટ વિસ્તાર અને દાણી લીમડા વિસ્તારમાં કર્ફ્યુ લાદવાને મુદ્દે કોંગ્રેસનાં ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બેઠકનાં થોડા કલાકો બાદ કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ કોરોના પૉઝીટિવ આવતા મંત્રીઓ અને અધિકારીઓમાં ફફડાટ પેઠો કારણકે તેમાંથી કેટલાકે ઇમરાન ખેડાવાલા સાથે બેઠક કરી હતી.
આ મામલે ગુજરાતનાં મુખ્યમંત્રી આજે બુધવારે પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવશે.તેમને કોઇ જ તકલીફ નથી પણ આ માત્ર સાવચેતીનાં પગલારૂપે કરાઇ રહેલો ટેસ્ટ છે.અન્ય જે બે ધારાસભ્યો આ મિટીંગમાં હતા તેમને ક્વોરેન્ટાઇનમાં મોકલી દેવાયા છે. સાવચેતીના ભાગરૂપે સીએમ વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ કરાશે. ઇમરાન ખેડાવાલા સાથેની બેઠકમાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવ્યું હતું, પરંતુ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા સીએમ અને કેટલાક વરિષ્ઠ પ્રધાનોને સાવચેતીના પગલા લેવાની સલાહ આપવામાં આવી છે.