મુંબઈ : કોરોનાને અંકુશમાં લેવા પાલિકા દ્વારા મિશન ઝીરોનો પ્રારંભ
અંધેરીના શહાજી રાજે સ્ટેડિયમમાં ઊભી રહેલી મોબાઇલ ડિસ્પેન્સરી વૅન.
મુંબઈની મહાનગરપાલિકાએ ગઈ કાલે શહેરમાં કોરોનાના વ્યાપને ઘટાડીને કેસની સંખ્યા ઝીરો પર લાવી દેવાનો ઉદ્દેશ ધરાવતી પહેલનો પ્રારંભ કર્યો હતો. આ પહેલ હેઠળ શહેરમાં કોવિડ-19ના નવા હૉટસ્પૉટ તરીકે ઊભરી આવેલા નૉર્થ મુંબઈમાં ૫૦ મોબાઇલ ડિસ્પેન્સરી કાર્યરત કરવામાં આવશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ એના ‘ચેઝ ધ વાઇરસ’ અભિયાન હેઠળ મીશન ઝીરો રૅપિડ ઍક્શન પ્લાન શરૂ કર્યો છે.
ADVERTISEMENT
ઉત્તર મુંબઈના બોરીવલી, દહિસર, મલાડ, કાંદિવલી, ભાંડુપ અને મુલુંડના પરાવિસ્તારોને આવરી લેતા કાર્યક્રમ હેઠળ બીએમસી ૫૦ મોબાઇલ ડિસ્પેન્સરી વૅન દોડાવશે. આ ડિસ્પેન્સરી વૅન કોવિડ-19ના દરદીઓની ઓળખ કરવા અને તેમની સારવાર કરવા માટે બેથી ત્રણ અઠવાડિયાં સુધી પ્રાથમિક ચેકઅપ હાથ ધરવા જુદાં-જુદાં સ્થળોએ જશે.
અંધેરીના શહાજી રાજે ભોસલે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં યોજાયેલા કાર્યક્રમમાં બીએમસીના કમિશનર આઇ. એસ. ચહલે અન્ય મહાનુભાવો સાથે ‘મિશન ઝીરો’ રૅપિડ ઍક્શન પ્લાનનો આરંભ કર્યો હતો, જેનો ભારતીય જૈન સંઘટના, દેશ અપનાયેં, ક્રૅડાઇ-એમસીએચઆઇ અને બિલ ગેટ્સ ફાઉન્ડેશન સાથેની જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ અમલ કરવામાં આવશે.