કોરોના મહામારી: ચીને 3 મિનિટ સુધી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી
ચીનમાં ત્રણ મિનિટ સુધી મૌન પાળવામાં આવી
ચીનમાં શનિવારે એકાએક રસ્તા પર વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં. વહેલી સવારે આર્મીના વિમાનોએ સાઇરન વગાડતાં જ સમગ્ર દેશમાં ત્રણ મિનિટ સુધી મૌન પાળવામાં આવ્યું હતું. કોરોના વાઇરસનો ભોગ બનનારા લોકો તેમ જ તેની લડાઈ લડતા શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ચીનના રાષ્ટ્રપતિ સહિત દેશવાસીઓએ ત્રણ મિનિટનું મૌન પાળ્યું હતું. ચીનમાં કોરોના વાઇરસ ફેલાવાની આગાહી કરનાર વ્હિસલબ્લોઅર ડૉ. લિ વેનલિઆંગ ઉપરાંત ૩૩૦૦ જેટલા મૃતકોને મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
લોકોએ પોતાની છાતી પર ફૂલ પ્રતિકરૂપે લગાવ્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અન્ય નેતાઓએ રાષ્ટ્રધ્વજ સામે ઊભા રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કોરોના વાઇરસ ચીન સહિત વિશ્વના ઇતિહાસમાં સૌથી વધુ ખતરનાક મહામારી પુરવાર થઈ છે.
ADVERTISEMENT
પાટનગર બીજિંગમાં લોકો રસ્તાઓ પર ઊભા રહી ગયા હતા. ખાસ કરીને હુબેઈ અને કોરોના વાઇરસના એપીસેન્ટર સમાન વુહાનમાં લોકોએ મૃતકો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શનિવારે દેશના તમામ સરકારી સ્થળો ઉપરાંત એમ્બેસીસ, વિદેશીમાં રહેલા કૉન્સ્યુલેન્ટ્સમાં ચીનના રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. દેશભરમાં તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.