મુંબઈમાં 600 પોલીસની કોરોના ટેસ્ટ થઈ : 422 નેગેટિવ ને 15 પૉઝિટિવ
મુંબઈ પોલીસ
દેશમાં કોરોનાના રોગે પગપેસારો કર્યો છે જેના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. લૉકડાઉનનું કડકપણે પાલન થાય એ માટે પોલીસ-કર્મચારીઓ ૨૪ કલાક બંદોબસ્તમાં ઊભા રહ્યા છે. કોરોનાને નાથવા પોલીસના આ અથાક પ્રયાસમાં અમુક પોલીસ-કર્મચારીઓને કોરોનાનાં લક્ષણો મળી આવ્યાં હતાં. શહેરમાં આવા ૬૦૦ જેટલા પોલસ હતા જેમની અંદર કોરોનાનાં લક્ષણો હોવાથી તેમનું વારાફરથી ચેકઅપ કરાયું હતું. કોરોનાના ચેકઅપમાં આ ૬૦૦ પૈકી ૪૨૨ જેટલા પોલીસ-કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે ૧૫ એવા હતા જેમનો રિપોર્ટ પૉઝિટિવ હતો. આ બાબતમાં પૂર્ણ રિપોર્ટ આવવામાં હજી બે દિવસ જેટલો સમય લાગશે એવી જાણકારી મુંબઈ પોલીસના વરિષ્ઠ પોલીસ-કર્મચારી સંગ્રામ પાચેએ આપી હતી.
પોતાના કર્તવ્યનું પાલન કરી રહેલા આ હિરોઝ પણ હવે મહામારીની ચપેટમાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પૉઝિટિવ મળી આવેલા તમામ પોલીસ પૈકી ૧૩ જેટલા રેલવે પોલીસ-કર્મચારીઓ છે જેમાં વરલી બીડીડી ચાલના પોલીસ જવાનો સામેલ છે. સીઆઇએસએફના જવાનોમાં પણ આ રોગ જોવા મળ્યો છે. એટલું જ નહીં, પણ શહેરના એક કમિશનર લેવલના પોલીસ-ઑફિસરને કોરોનાનાં લક્ષણો દેખાતાં તેમણે તપાસ કરાવી હતી. જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તમામ કર્મચારીઓનું કસ્તુરબા, સેવન હિલ્સ, લીલાવતી, બૉમ્બે હૉસ્પિટલ જેવી હૉસ્પિટલોમાં ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસને પર્સનલ પ્રોટેક્શન કિટ
રાજ્યમાં કોરોનાના દરદી વધી રહ્યા છે જેમાં પણ મુંબઈ ડેન્જર ઝોનમાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન પોલીસ-કર્મચારીઓની સરકારને સૌથી વધુ જરૂર પડશે એ માટે સરકારે પોલીસ માટે અલગથી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહપ્રધાન અનિલ દેશમુખના હસ્તે પોલીસને પર્સનલ કિટ પણ આપવામાં આવી હતી.