કોરોના વાઈરસ અપડેટ: 24 કલાકમાં વધુ 4970 પૉઝિટિવ કેસ : 134 લોકોનાં મોત
પ્રતીકાત્મક તસવીર
સમગ્ર દેશમાં કોરોના મહામારી લોકડાઉન-૪નો ૧૮ મેથી પ્રારંભ થઈ ગયો છે છતાં કોરોના પૉઝિટિવના કેસ ઓછા થવાને બદલે વધી રહ્યા હોય એમ છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૯૭૦ કેસ નોંધાતાં ભારતમાં કોરોના કેસનો આંકડો હવે એક લાખને પાર પહોંચી ગયો છે અને મરનારાઓની સંખ્યા ૩૧૬૩ પર પહોંચી ગઇ છે. નોંધનીય બાબત એ છે કે ૧૧૧ દિવસમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે અને ૩૧૬૩નાં મોત નીપજ્યાં છે. જોકે લૉકડાઉનમાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ યથાવત છે. માત્ર ૧૨ દિવસની અંદર જ કોરોના દરદીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.
લૉકડાઉન-૪માં કેટલાંક રાજ્યોએ વધારે પડતી છૂટછાટો આપતાં કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને લૉકડાઉનના નિયમોનું પૂરેપૂરું પાલન કરાવવા પર ભાર મૂક્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૫,૦૦૦ કેસ નોંધાયા છે. દેશમાં પહેલો કેસ ૩૦ જાન્યુઆરીએ સામે આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં ૧૧૧ દિવસમાં એક લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. દેશમાં કોરોના વાઇરસના ૧,૦૧,૧૩૯ તમામ કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ ધરાવતા દેશોમાં ચીનને પછાડીને એની આગળ નીકળી ગયો છે.