કોરોના વાઈરસનો આતંક: દેશમાં 24 કલાકમાં નવા 3970 પૉઝિટિવ કેસ
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત મામલામાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના નવા ૩૯૭૦ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોનો આંકડો વધીને ૮૫,૯૪૦ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે ૧૦૩ લોકો મોતને ભેટ્યા છે. એની સાથે જ કુલ મૃત્યુઆંક ૨૭૫૨એ પહોંચ્યો છે, જ્યારે ૨૨૩૩ લોકો કોરોના વાઇરસ સામેના જંગમાં સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે ભારત હવે ચીનથી આગળ નીકળી ગયું છે અને વિશ્વમાં ૧૧મા નંબર પર પહોંચ્યું છે.
૮૫,૯૪૦ કોરોના વાઇરસના કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ ધરાવતા દેશોની યાદીમાં ચીનને પછાડીને આગળ નીકળી ગયો છે. ચીન તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે ત્યાં ૮૨,૯૨૯ કેસ નોંધાયા હતા તેમ જ ૪૬૩૩ લોકો મોતને ભેટ્યા હતા. જોકે, ચીનમાં અત્યાર સુધીમાં ૭૮,૦૦૦થી વધુ લોકો સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. હવે ચીનમાં ૧૦૦ કરતા ઓછા ઍક્ટિવ કેસ છે, જ્યારે ભારતમાં કોરોના વાઇરસના ઍક્ટિવ કેસની સંખ્યા ૫૩,૦૩૫ સુધી પહોંચી ગઈ છે.