કર્ણાટકમાં તમામ દુકાનો ખૂલશે : રિક્ષા, ટૅક્સી, બસ અને ટ્રેનો દોડશે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રએ રાજ્ય સરકારોને સ્થિતિ પ્રમાણે લૉકડાઉન ૪.૦માં છૂટછાટ અને પ્રતિબંધો લગાવવા વિશે જણાવ્યું છે જેમાં કર્ણાટકે મોટી છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. લૉકડાઉન ૪.૦માં કર્ણાટકે રોડવેઝ અને પ્રાઇવેટ બસોને ચલાવવાની મંજૂરી આપી છે. જોકે કન્ટેઇનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો લાગુ રહેશે. રાજ્યના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને તામિલનાડુના લોકોને ૩૧ મે સુધી કર્ણાટકમાં આવવાની મંજૂરી નહીં મળે.
રાજ્યના મુખ્ય પ્રધાને કહ્યું છે કે લૉકડાઉન ૪મા રાજ્યની અંદર રોડવેઝ અને પ્રાઇવેટ બસોના સંચાલકોને મંજૂરી છે. તેમણે જણાવ્યું કે બસોમાં એક વારમાં માત્ર ૩૦ મુસાફરોને જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું સૌના માટે જરૂરી હશે. બસનું ભાડું નહીં વધારવામાં આવે. આંતરરાજ્ય પરિવહનને મંજૂરી આપવામાં નહીં આવે, માત્ર મુશ્કેલ સ્થિતિમાં જ એની મંજૂરી આપવામાં આવશે. આ રીતે ઑટો અને ટૅક્સીને પણ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે પણ એમાં ડ્રાઇવર સહિત મળીને માત્ર ત્રણ લોકો જ સવાર થઈ શકશે.