વધુ જોખમ ધરાવતાં રાજ્યોમાં લૉકડાઉન 28 દિવસ લંબાવાય તેવી પૂરેપૂરી શક્યતા
પ્રતીકાત્મક તસવીર
સરકાર તબક્કાવાર ધોરણે લૉકડાઉન દૂર કરવા વિચારી શકે છે અને તે ઓછું જોખમ ધરાવતાં રાજ્યોમાં અને જિલ્લામાં પ્રતિબંધો અંશતઃ ધોરણે ઉઠાવવાના આયોજનનો અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત કેસોની મહત્તમ સંખ્યા ધરાવતા વિસ્તારોમાં મહત્તમ અંકુશ લાદવા પણ વિચારી રહી છે.
નીતિ આયોગના સભ્ય અને ગ્રુપના ચૅરમૅન વિનોદ પૌલની આગેવાની હેઠળના જૂથે સુપરત કરેલા મેડિકલ ઇમર્જન્સી મૅનેજમેન્ટ પ્લાનના ડ્રાફટ મુજબ ઊંચું જોખમ ધરાવતાં રાજ્યો અને જિલ્લામાં લૉકડાઉન વધુ ૨૮ દિવસ લંબાવાઈ શકે છે. આ જૂથની રચના ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ દસ્તાવેજમાં સૂચન કરવામાં આવ્યું છે કે ‘રાજ્યોને કેસોની ગંભીરતાના આધારે ચાર વિવિધ કેટેગરીઓમાં વહેંચવાનો પ્રસ્તાવ છે. તેમાં સૌથી ખરાબ અસર પામેલાં રાજ્યોને ચોથા તબક્કામાં રાખવામાં આવશે. આ પ્રકારના વિભાગીકરણનો આધાર છેલ્લા સાત દિવસમાં સક્રિય કેસોની સંખ્યા, સક્રિય કેસોનો ફેલાવો અને કેસોની ઘનતા છે. ૫૦થી વધુ સક્રિય કેસો ધરાવતાં રાજ્યને કેટેગરી ચારમાં રાખવામાં આવશે. પાંચ કે તેથી વધુ સક્રિય કેસો અને છેલ્લા સાત દિવસમાં કોઈ પણ નવો કેસ ન નોંધાવનાર રાજ્યને કેટેગરી વનમાં રાખવામાં આવશે,’ એમ દસ્તાવેજનું કહેવું છે.
ADVERTISEMENT
વિનોદ પૌલે જણાવ્યું હતું કે સરકાર વિવિધ અભ્યાસો અને ભલામણો પર અભ્યાસ કરી રહી છે, પરંતુ તેણે એપ્રિલ ૧૪ પછીની સ્થિતિ માટે કોઈ નિર્ણય લીધો નથી. તેમણે જણાવ્યું હતું કે અમે વિવિધ વિકલ્પો પર મીટ માંડી રહ્યા છીએ અને લૉકડાઉન જારી રાખવાનો કે ન જારી રાખવાનો નિર્ણય વિવિધ પરિબળોના આધીન રહીને તર્કબદ્ધ ધોરણે લેવાશે. હાલમાં આ પરિબળોની સમીક્ષા કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
લૉકડાઉન ખૂલ્યા પછી ચેપવાળા જિલ્લામાં ટ્રેન નહીં રોકાય, વૃદ્ધો પ્રવાસ નહીં કરી શકે
૨૧ દિવસના લૉકડાઉનને બે અઠવાડિયાં પૂરાં થઈ ચૂક્યાં છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ લૉકડાઉન ખતમ કરવાની રીત પર મંથન શરૂ પણ કરી ચૂક્યા છે. આવા જ એક પ્રસ્તાવમાં રાજ્યોને ચાર ભાગમાં વહેંચી લૉકડાઉન પૂરું કરવાનું સૂચન કરાયું છે. તેમાં કહેવાયું છે કે જે પણ હોટ-સ્પોટ જિલ્લા હશે એ વિસ્તારોમાં ટ્રેન નહીં રોકાય. એટલું જ નહીં ૬૫ વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ ટ્રેનમાં પ્રવાસ નહીં કરી શકે, ભલે પછી તે ચેપમુક્ત વિસ્તારની કેમ ન હોય. ટ્રેનમાં રિઝર્વેશન વિનાની ટિકિટો પણ નહીં વેચાય. જ્યારે ફૅક્ટરીઓ વગેરેમાં સ્થાનિક શ્રમિકોને જ કામ કરવાની છૂટ મળશે.
વડા પ્રધાન મોદીએ તમામ પ્રધાનોને કોરોના વાઇરસની આર્થિક અસર ઘટાડવા માટે યુદ્ધસ્તરે યોજનાઓ ઘડવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ સંકટ મૅઇક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને બીજા દેશો પર નિર્ભરતા ઘટાડવાની તક લાવ્યો છે. ૨૧ દિવસનું લૉકડાઉન પૂરું થયા પછી દરેક મંત્રાલય ૧૦ મહત્ત્વપૂર્ણ નિર્ણય અને પ્રાથમિકતાનાં ૧૦ ક્ષેત્ર નક્કી કરે. તમામ મંત્રાલયોને બિઝનેસમાં નિરંતરતાની યોજનાઓ પણ તૈયાર કરવા નિર્દેશ અપાયો છે. વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સોમવારે કૅબિનેટ બેઠકની અધ્યક્ષતા કરતા વડા પ્રધાન મોદીએ આ સૂચન કર્યાં હતાં.