મુંબઈ: 47 ફ્લાઇટ્સ સાથે મુંબઈ ઍરપોર્ટ ફરી ધમધમ્યું
મુંબઈ ઍરપોર્ટ પર ફરી શરૂ થયું પ્રવાસીઓનું આવનજાવન.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (સીએસએમઆઇએ) અને દિલ્હી વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવા સંબંધે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મોડી રાત સુધી ચાલેલી રસાકસીભરી ચર્ચા પછી ગઈ કાલે સવારે મર્યાદિત સેવાઓ સાથે ઍરપોર્ટ ફરી ધમધમતું થયું હતું. નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન અને રાજ્ય સરકારના તાજેતરના આદેશાનુસાર લૉકડાઉનના અવિરત ચાર તબક્કા પછી સીએસએમઆઇએના ટી-2 ઍરપોર્ટ પરથી ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૪૭ ફ્લાઇટ્સ આવી તેમ જ રવાના થઈ હતી. ગઈ કાલે પહેલા દિવસે ૭ ઍરલાઇન્સે ૧૪ અલગ-અલગ જગ્યાએ ઉડાન ભરી હતી જેમાં કુલ ૪૮૫૨ મુસાફરોનો સમાવેશ થાય છે જેમાં ૩૭૫૨ મુસાફરો ગયા હતા તો ૧૧૦૦ મુસાફરો આવ્યા હતા.
જી.વી.કે.ની આગેવાની હેઠળના મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પરથી પટણા જનારી અને લખનઉથી આવનારી ફ્લાઇટનું સંચાલન ઇન્ડિગો ઍરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પહેલા દિવસે મુંબઈ અને દિલ્હી (૬ અરાઇવર, ૬ ડિપાર્ચર) વચ્ચેની ફ્લાઇટ્સની સંખ્યા સૌથી વધુ રહી હતી. ત્યાર બાદના ક્રમે બે ઉડ્ડયન અને બે ઉતરાણ સાથે હૈદરાબાદ, બૅન્ગલોર, કોચી, પટના અને વારાણસી રહ્યાં હતાં. મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યા મુજબ ઉડ્ડયન મંત્રાલય તરફથી ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરવાનો આદેશ ન મળે ત્યાં સુધી મર્યાદિત ફ્લાઇટ્સનું આવનજાવન થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે મર્યાદિત સ્ટાફ સાથે કાર્ગો સેવા ચલાવી રહ્યા હતા. આમ ઍરપોર્ટની કામગીરી ક્યારેય સદંતર બંધ કરવામાં આવી નહોતી.