મુંબઈ: ઍર કાર્ગો કૉમ્પ્લેક્સમાં કોરોનાના પગપેસારા બાદ કર્મચારી પરેશાન
ઍર કાર્ગો કૉમ્પ્લેક્સ ૧,૨૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલું છે
ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા પાંચ કર્મચારીઓની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં કોરોના વાઇરસે હવે અંધેરીસ્થિત ઍર કાર્ગો કૉમ્પ્લેક્સ (એસીસી)માં પણ પગપેસારો કર્યો છે. તમામ જીવનજરૂરી ઉત્પાદનોનો પુરવઠો, ખાસ કરીને પીપીઈ કિટ્સ અને દવાઓનો જથ્થો અહીંથી પહોંચાડવામાં આવતો હોવાથી કૉમ્પ્લેક્સને સીલ કરી શકાય એમ ન હોવાથી એને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો છે.
આ વિસ્તારને સૅનિટાઇઝ કરાયો છે અને વિભાગના કર્મચારીઓને હોમ-ક્વૉરન્ટીન કરાયા છે. જોકે વર્કર્સ યુનિયનને એનાથી સંતોષ થયો નથી અને તેમણે જણાવ્યું છે કે કૉમ્પ્લેક્સને બંધ કરીને કામગીરીને મર્યાદિત કરવામાં આવી હોત તો એ બહેતર હતું. વર્કર્સ યુનિયન અને કસ્ટમ્સ વચ્ચેનો મતભેદ કાર્ગોની કામગીરી પર વિપરિત અસર પહોંચાડી શકે છે. ‘કે’ ઈસ્ટ વૉર્ડે આ જગ્યાને સીલ નથી કરી અને સૅનિટાઇઝેશનનાં કેટલાંક પગલાં સાથે કાર્યરત છે. જીવીકે ૧,૨૦,૦૦૦ ચોરસ ફુટમાં ફેલાયેલા કૉમ્પ્લેક્સનું કસ્ટોડિયન છે. તેઓ ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટને સીલ કરીને થોડા દિવસ માટે એને અન્યત્ર ખસેડી શકે છે. ઘણા વર્કર્સ સોમવારે ફરજ પર આવ્યા ન હતા. જીવીકે સાથેની બેઠકમાં અમે કૉમ્પ્લેક્સના ફ્યુમિગેશનનું સૂચન કર્યું હતું, એમ એક ટ્રેડ યુનિયન સભ્યએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
બીએમસીએ માર્ગદર્શિકા જારી કરી હતી જેમાં રોજ સૅનિટાઇઝેશન અને વિભાગનું કામ યથાવત્ રાખવાનો સમાવેશ થાય છે. ‘કે’ ઈસ્ટ વૉર્ડની ઑફિસે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ‘પ્રોટોકૉલ પ્રમાણે ઑફિસનો કથિત વિસ્તાર સીલ કરવો જોઈએ અને એને કન્ટેઇનમેન્ટ એરિયા ગણવો જોઈએ. જોકે આ વિસ્તાર જરૂરી સેવાઓની શ્રેણી હેઠળ આવે છે, જેમાં દવાઓની સપ્લાયનો સમાવેશ થાય છે, આથી એને સીલ કરી શકાય નહીં કે બિન-કાર્યરત પણ કરી શકાય નહીં.’