ગુડ ન્યુઝ : કોવિડનો ડેથ રેટ અડધોઅડધ ઘટ્યો
કોરોના ટેસ્ટ કરતા ડૉક્ટર
કોરોના રોગચાળા સંબંધી ચિંતા અને રાહતના મુદ્દા વિશેષ રૂપે આંકડાનો વિષય બને છે. મહાનગરમાં કોરોનાના દર્દીઓનો મરણાંક ૨૦ જૂનથી ૧૯ જુલાઈની સરખામણીમાં ૨૦ ઑગસ્ટ અને ૧૯ સપ્ટેમ્બરના ૩૦ દિવસમાં અડધો થયો હતો. ૨૦ જૂનથી ૧૯ જુલાઈ વચ્ચે કોરોનાના ૨૨૮૮ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા અને છેલ્લા ૩૧ દિવસમાં ૧૧૫૩ દર્દીઓનાં મૃત્યુની નોંધ મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે.
તાજેતરના ૧૧૫૩ મૃત્યુમાંથી ૧૦૫૭ એટલે કે ૯૨ ટકા દર્દીઓ ૫૦ વર્ષ થી વધારે ઉંમરના હોવાથી રોગચાળામાં વૃદ્ધ વ્યક્તિઓના આરોગ્યની ચિંતા યથાવત્ રહે છે. કુલ દર્દીઓમાં સરેરાશ મૃત્યુદર યુવાનોમાં ૦.૪ ટકા સામે ૫૦ વર્ષથી વધારે ઉંમરના લોકોમાં ૫.૧૪ ટકા છે. જોકે નાની ઉંમરના નાગરિકોમાં પૉઝિટિવ દર્દીઓનું પ્રમાણ વધારે છે. છેલ્લા ૩૧ દિવસમાં ટેસ્ટિંગ વધવાને કારણે પૉઝિટિવ દર્દીઓની સંખ્યા વધી છે. આ દિવસોમાં ઍક્ટિવ દર્દીઓની સંખ્યા ૧૭,૦૦૦થી વધીને ૩૪,૦૦૦ થઈ છે, એમાં સિમ્પટોમૅટિક દર્દીઓની સંખ્યા ૯૦૦૦ હતી.
ADVERTISEMENT
મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ગંભીર સ્થિતિના દર્દીઓ જે કોવિડ સેન્ટરમાં હોય ત્યાં પૂરતા પ્રમાણમાં સાધન-સરંજામ અને કાળજી રાખવાની વ્યવસ્થા રાખીએ છીએ. એ સ્થળોએ સીસીટીવી કૅમેરા નેટવર્ક દ્વારા નિગરાની રાખીએ છીએ. પૂરતા પ્રમાણમાં હેલ્થ વર્કર્સની હાજરી પણ હોય એની તકેદારી રાખીએ છીએ.’
અમે મિશન સેવ લાઇવ્ઝ શરૂ કર્યું છે. એ મિશનના ભાગરૂપે અમે કોવિડ હૉસ્પિટલોના વિભાગીય વડા તેમ જ નિષ્ણાતો સાથે ગંભીર દર્દીઓ બાબતે દિવસમાં બે વાર ચર્ચા કરીએ છીએ.
- સુરેશ કાકાણી, બીએમસીના ઍડિશનલ કમિશનર