મુંબઈ: શહેરમાં કોરોના ફેલાવી રહી છે એસી બસ?
બેસ્ટની એસી બસો.
બેસ્ટ સાથે સંકળાયેલા ટ્રાફિક વિભાગના એક ભૂતપૂર્વ અધિકારીએ આક્ષેપ કર્યો છે કે બેસ્ટની એસી (ઍર-કન્ડિશન્ડ) બસો ‘કોરોના ફેલાવવા માટેનું કારણભૂત સાધન’ બની શકે છે, કારણ કે એમાંની મોટા ભાગની બસો પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરોની છે, જેઓ સામાન્ય રીતે સૅનિટાઇઝેશનના પ્રોટોકૉલ્સનો રેકૉર્ડ ધરાવતા નથી. વળી કેટલાક રૂટ પર આ એસી બસ કન્ડક્ટર વિના ચાલે છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી.
ભૂતપૂર્વ ટ્રાફિક અધિકારી અને હવે વકીલ તરીકે ફરજ બજાવતા પ્રશાંત સાનેએ આક્ષેપ કર્યો છે કે બેસ્ટ આવી પ્રવૃત્તિઓ દ્વારા પ્રવાસીઓના અને સ્ટાફના જીવન સાથે રમત રમી રહી છે.
ADVERTISEMENT
જ્યારે એ પ્રસ્થાપિત થયું છે કે કોવિડ-19ની સ્થિતિમાં ઍર-કન્ડિશનર્સનો ઉપયોગ નુકસાનકારક નીવડી શકે છે છતાં બેસ્ટ અન્ડરટેકિંગ ઘણા રૂટ પર એસી બસો દોડાવી રહી છે, જે જોખમરૂપ નીવડી શકે છે, એમ સાનેએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સીએમની ઑફિસમાં પણ આ સંદર્ભે મેં ફરિયાદ કરી હતી, પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું નથી.
બેસ્ટના જીએમનો ઘેરાવ
ગુરુવારે કૉર્પોરેટરો સહિત બીજેપી મુંબઈના સભ્યો બેસ્ટ ભવનમાં ઘૂસ્યા હતા અને વીજળીનાં ઊંચાં બિલોના મામલે જનરલ મૅનેજર સુરેન્દ્ર બાગડેને ઘેર્યા હતા. કાર્યકરોએ ઊંચાં બિલો અને દક્ષિણ મુંબઈના રહેવાસીઓને જોડાણ કાપી નાખવાની નોટિસો પાઠવવાના મામલે સવાલ કર્યો હતો અને નોટિસો પાછી ખેંચી લેવાની માગણી કરી હતી.
આ પણ વાંચો : આ વર્ષે બર્થ-ડે નહીં ઊજવે ઉદ્ધવ ઠાકરે
અમે જનરલ મૅનેજરને ત્રીજી ઑગસ્ટ સુધી કાર્યવાહી સ્થગિત કરવા જણાવી રહ્યા છીએ. સરકાર પાસેથી સ્ટે મળશે એવી અમને આશા છે, પરંતુ જનરલ મૅનેજર કશું કહેવા સક્ષમ નથી એમ બીજેપીના નેતા અને પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટે જણાવ્યું હતું.