અનલૉક-4 : મુંબઈમાં કોરોના કેસમાં 50 ટકાનો ઉમેરો થયો
મુંબઈમાં દરદીઓનો રિકવરી રેટ ઓલ ટાઇમ હાઇ થઈને 82 ટકા થયો છે
કોવિડ-19ના નવા કેસ અને જૂનથી ઑગસ્ટ સુધીમાં હાથ ધરાયેલી ટેસ્ટની સંખ્યાના તુલનાત્મક ડેટા સૂચવે છે કે મુંબઈમાં લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં કરવાના ચોથા તબક્કા બાદ સપ્ટેમ્બરમાં વાઇરસનાં ઇન્ફેક્શનમાં પચાસ ટકાથી વધુનો ઉમેરો થયો હતો. ટેસ્ટની સંખ્યા વધારવાના કારણે કેસની સંખ્યામાં વધારો નોંધાયો હતો.
સપ્ટેમ્બરના મધ્ય ભાગમાં ઍક્ટિવ કેસની સંખ્યા ૩૪,૦૦૦ થઈ હતી અને મહિનાના અંત સુધીમાં આ સંખ્યા ઘટીને ૨૬,૦૦૦ થઈ હતી. શહેરમાં દરદીઓનો રિકવરી રેટ ઑલટાઇમ હાઈ ૮૨ ટકા નોંધાયો છે.
ADVERTISEMENT
અનલૉકના પ્રથમ તબક્કા બાદ જૂનમાં શહેરમાં નવા કેસની સંખ્યા વધી હતી. મેમાં પ્રતિ દિવસ આશરે ૧૦૦૦ કેસની સરેરાશ હતી જે જૂન અને જુલાઈમાં વધીને ૧૨૫૦ થઈ ગઈ હતી. પછી ઑગસ્ટમાં ઘટીને ૧૦૦૦ થઈ હતી. પરંતુ બીએમસીએ સપ્ટેમ્બરમાં વધુ ટેસ્ટ હાથ ધરવાનું શરૂ કર્યું ત્યાર બાદ સરેરાશ દૈનિક નવા કેસની સંખ્યા ૧૯૬૦ સાથે લગભગ બમણી થઈ ગઈ હતી. સપ્ટેમ્બરના મધ્ય ભાગમાં ડબલિંગ રેટ વધ્યો હતો અને રિકવરી રેટ ઘટી ગયો હતો, પરંતુ ૮૦ ટકા કેસમાં લક્ષણો ન દેખાતાં હોવાથી ગયા અઠવાડિયે રિકવરી રેટ ૮૦ ટકા કરતાં વધુ નોંધાયો હતો.
સપ્ટેમ્બરમાં નવા કેસ વધ્યા હોવા છતાં દૈનિક મૃત્યુ આંક સતત નીચો ગયો હતો. જૂન અને જુલાઈમાં સૌથી વધુ મોત નીપજ્યાં હતાં, જે ત્યાર પછીના મહિનાઓમાં ઘટી ગયાં હતાં.