ચીનમાં 500 થિયેટર્સ ખુલ્યાં, પણ એક પણ ટિકિટ ન વેચાઈ
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસ દુનિયાભરમાં પોતાનો આતંક મચાવી રહ્યો છે. ફક્ત ચીન અને ઈટલીમાં જ આ વાઇરસના સંક્રમણમાં આવેલા ૭૦૦૦ લોકો મોતને ભેટ્યાં છે. ચીનમાં ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ત્યાં કોરોનાનો નવો એક પણ કેસ નથી નોંધાયો. એવામાં મીડિયા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચીનમાં ૫૦૦ જેટલાં થિયેટર્સને ફરીથી ખુલ્લા મૂકવામાં આવ્યાં છે, પરંતુ કોરોના વાઇરસે જે રીતે ચીનમાં આતંક મચાવ્યો છે તે જોઈને ચીનના કોઈ પણ વ્યક્તિએ થિયેટર્સમાં એક પણ ટિકિટ બુક નથી કરાવી.
એવામાં તાજેતરમાં જ ફિલ્મ વિશ્લેષક અતુલ મોહને ચીન માટે એક ટ્વીટ કર્યું છે જે વાયુવેગે વાઇરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વીટમાં અતુલ મોહને કહ્યું છે કે ચીન પોતાના વેપાર તરફ પાછું ફરી રહ્યું છે અને ત્યાં ૫૦૦થી વધુ થિયેટર્સ ફરીથી ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. અતુલ મોહનના આ ટ્વીટ પર લોકો ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છે. નોંધનીય છે કે કોરોના વાઇરસની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઈ હતી.