મુંબઈ : 48 ટકા મુંબઈગરાને ડાયટની કાળજી નથી
ફાઈલ તસવીર
મુંબઈ યુનિવર્સિટીમાં ભણતા એમબીએના બીજા વર્ષના ત્રણ વિદ્યાર્થીઓએ મુંબઈગરાઓની હેલ્થ અને ઇમ્યુનિટી પર એક ઑનલાઇન સર્વે કર્યો હતો. બે મહિનાના આ સર્વેમાં ૨૫થી ૫૫ વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના તારણ મુજબ ખબર પડી હતી કે મુંબઈમાં ૪૮ ટકા લોકો એવા છે જે પોતાની ઇમ્યુનિટી અને ડાયટની કાળજી નથી રાખતા. આ ૪૮ ટકા લોકોમાંથી ૩૬ ટકા લોકો એવા પણ મળી આવ્યા જેમને ભૂતકાળમાં ડેન્ગી, મલેરિયા અને જૉઇન્ડિસ જેવા રોગ થયા હતા અને ૧૬ ટકા લોકો એવા હતા જેમનો કોરોના રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.
સર્વેનો આઇડિયા પ્રસ્તુત કરનારા ૨૧ વર્ષના વિદ્યાર્થી જનક વઘાસિયાએ જણાવ્યું હતું કે ‘મારી સાથે બીજા બે જય મિશ્રા અને હેત્વી ચૂનાવાલા પણ આ પ્રોજેક્ટમાં જોડાયા હતા. અમે છેલ્લા ત્રણ મહિનાથી આ સર્વે પર કામ કરી રહ્યા છે. કૉલેજ માટે આ સર્વે કરવામાં આવ્યો હતો, ઑનલાઇન ૭૮ ટકા અને ઑફલાઇન ફોનના માધ્યમથી ૨૨ ટકા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટમાં અમને જાણવા મળ્યું કે યુવા વર્ગના મોટા ભાગના લોકો જંક ફૂડ અને બહારનું જમવાનું વધુ ખાય છે. કોરોના જેવી પરિસ્થિતિમાં પણ એક મહિનામાં આઠથી દસ દિવસ બહારથી ઑર્ડર કરીને લોકો જમી રહ્યા છે. ટૂંક સમયમાં અમારો પ્રોજેક્ટ મુંબઈ યુનિવર્સિટીના પૉર્ટલમાં પણ મૂકવામાં આવશે.
ADVERTISEMENT
‘મુંબઈગરાઓની હેલ્થ’ આ શિર્ષક હેઠળ કરવામાં આવેલા સર્વેમાં મુંબઈના બાવીસ લાખ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તમામ લોકો ૨૫થી ૫૫ વર્ષની વયના હતા.
શું પ્રશ્નો હતા સર્વેમાં
હેલ્થ ચેકઅપ કેટલા સમયાંતરે કરાવો છો, ડાયટનું કેટલું ધ્યાન રાખો છો, કસરત કેટલા કલાક કરો છો, રાત્રે જમ્યા બાદ કેટલા કલાક પછી ઊંધો છો, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર કઈ ઉંમરથી શરૂ થયું છે. જો મહિલા છો તો કૅલ્શિયમની ગોળીઓ લો છો કો નહીં વગેરે.