રાજકોટના દર્દીના સંપર્કમાં આવેલા 4 જણને મોરબીમાં આઇસોલેશન હેઠળ રખાયા
કોરોના વાઈરસ
રાજકોટમાં કોરોના વાઇરસનો પ્રથમ પૉઝિટિવ કેસ નોંધાયો છે. પૉઝિટિવ આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા મોરબીની મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ ચાર ઈસમોને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત આ ચાર લોકો જેના સંપર્કમાં આવ્યા હતા તેવા તેમ જ ફૉરેન ટ્રિપ કરી પરત આવેલા લોકો મળીને કુલ ૧૩ વ્યક્તિઓને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
મોરબીમાં યુવાનનો કોરોનાનો મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રાજકોટમાં જંગલેશ્વરના એક ઇસમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં જ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં તંત્ર દોડતું થયું છે. આ વ્યક્તિ મક્કા-મદીનાથી પરત રાજકોટ આવ્યા બાદ તેની સાથે મુસાફરી કરી રહેલા લોકોને ટ્રેસ કરવાની કાર્યવાહી સરકાર અને તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેમાં આજે મોરબીનાં એક મહિલા અને એક પુરુષ તેમ જ વાંકાનેરના બે પુરુષ મળી કુલ ચાર માણસોને મોરબી સિવિલમાં આવેલા આઇસોલેશન વૉર્ડમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. બીજી બાજુ આ ચાર લોકો મોરબી આવ્યા બાદ જેના-જેના સંપર્કમાં આવ્યા હતા તેવા એક બાળક સહિત ૯ લોકોને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે.