Coronavirus Effect: CBSEમાં 9થી 12 ધોરણનો અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાયો
ધોરણ નવથી બારનાં અભ્યાસક્રમમાં ત્રીસ ટકા કાપ મુકાયો છે
માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં રમેશ પોખરિયાલ નિશાંકે ગઇકાલે જાહેરાત કરી કે એવું નક્કી થયું છે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન – CBSE કોર કોન્સેપ્ટ્સ એટલે અગત્યનાં મુદ્દાઓને જ રખાશે અને ધોરણ નવથી બારના સિલેબસમાં કાપ મુકાશે. આ નિર્ણય કોરોનાવાઇરસની સ્થિતિને પગલે લેવાયો છે અને આ અણધાર્યા સંજોગોને કારણે CBSEને અભ્યાસક્રમને રિવાઇઝ કરીને નાનો બનાવાયો છે. અભ્યાસક્રમમાંથી ફેડરાલિઝમ, રાષ્ટ્રીયતા અને બિનસાંપ્રદાયિકતા જેવા વિષયો 11મા ધોરણની પોલિટીકલ સાયન્સની ટેક્સબુકમાંથી કઢાયા છે અને 12મા ધોરણમાં પોલિટીકલ સાયન્સનાં પુસ્તકોમાંથી પડોશી દેશો સાથેનાં સંબધો પરનું પ્રકરણ કઢાયું છે.
દસમા ધોરણનાં પોલિટીકલ સાયન્સનાં પુસ્તકમાંથી લોકશાહી અને વિવિધતા, જેન્ડર, ધર્મ અને જાતિ, જાણીતા સંઘર્ષો અને ચળવળો પરનાં પ્રકરણો નહીં ભણાવાય.આ પરિવર્તનો 2020-21ની બેચમાં લાગુ કરાશે. આટલું જ નહીં પણ ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી નોટબંધીનો વિષય પણ કાઢી નંખાયો છે. બધા જ વિષયોમાંથી પ્રકરણો કાઢી નખાયા છે. અગાઉ મિનિસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટે NCERTને કહ્યું હતું કે અભ્યાસક્રમ ટુંકો કરવો અને ત્યાર બાદ મંગળાવરે આ જાહેરાત કરાઇ હતી.