30 મેથી બીજેપી દ્વારા મોદી સરકાર 2.0ની ઑનલાઇન ઉજવણી કરાશે
નરેન્દ્ર મોદી
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પોતાના સૌથી વધુ લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ ડિઝિટલ માધ્યમથી ઊજવશે. ૩૦ મેના રોજ સરકારને એક વર્ષ થશે. સરકારની ઉપલબ્ધિઓ ગણાવવા માટે દેશભરમાં વર્ચ્યુઅલ રૅલી અને પ્રેસ કૉન્ફરન્સ કરાશે. પાર્ટીએ નક્કી કર્યું છે કે કોરોના મહામારીના કારણે કોઈ જાહેર કાર્યક્રમ થશે નહીં. મોદીએ ગત વર્ષે ૩૦ મેના રોજ બીજી વાર વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.
બીજેપીના કાર્યકર્તાઓને લખેલા પત્રમાં પાર્ટીના જનરલ સેક્રેટરી અરુણ સિંહે કહ્યું છે કે તમામ રાજ્યોમાં ઓછામાં ઓછી બે અને નાના રાજ્યમાં એક વર્ચ્યુઅલ રૅલી કરાશે. દરેક રૅલીમાં ઓછામાં ઓછા ૭૫૦ લોકો સામેલ થશે. દેશભરમાં એક હજારથી વધારે ઑનલાઈન કૉન્ફરન્સ કરાશે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ ૩૦ મેથી આ સમારોહ શરૂ થશે અને એક મહિના સુધી ચાલશે. પાર્ટી તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ ઘણી ઉપલબ્ધિઓથી ભરેલું છે. તેમાં આર્ટિકલ ૩૭૦ હટાવવો, ટ્રીપલ તલાક સામે કાયદો પસાર કરવો પણ સામેલ છે.
ફેમ ઇન્ડિયા અને એશિયા પોસ્ટ સર્વે ૨૦૨૦નો રિપોર્ટ જાહેર
ફેમ ઈન્ડિયા અને એશિયા પોસ્ટ સર્વે ૨૦૨૦ના ૫૦ પ્રભાવશાળી લોકોમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ૫૦ પ્રભાવશાળી લોકોની આ યાદીમાં નીતિશકુમાર ૧૬મા સ્થાન પર છે. આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા સ્થાન પર છે. ફેમ ઈન્ડિયા અને એશિયા પોસ્ટ સર્વે ૨૦૨૦ના ટોપ ૫૦ પ્રભાવશાળીના લિસ્ટમાં નીતિશકુમારને ૧૬મું સ્થાન મળ્યું છે. નીતિશકુમારે આ યાદીમાં કૉન્ગ્રેસના રાહુલ ગાંધી, અભિનેતા અક્ષયકુમાર અને જે. પી. નડ્ડા જેવા નેતાઓને પાછળ પાડી દીધા છે. ટોપ ૫૦ની આ યાદીમાં નીતિશકુમારનો ૧૬ જ્યારે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ૧૭, સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન ૧૮, રાહુલ ગાંધી ૨૧ અને અક્ષયકુમારને ૨૩મું સ્થાન મળ્યું છે.
સર્વે દરમ્યાન લોકોની છબિ, વ્યક્તિત્વ, વિકાસના કામ અને લોકોની ભલાઈ માટે ઉઠાવવામાં આવેલાં પગલાંઓને માનક બનાવવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં રાજકારણ, બ્યુરોક્રેટ્સ, અભિનેતા, વેપાર, પત્રકારિતા અને અધ્યાત્મ જેવી વ્યક્તિઓને સામેલ કરવામાં આવી હતી. ટોપ ૫૦ લોકોની આ યાદીમાં વડા પ્રધાન મોદી ૯૯.૬ ટકા મતોની સાથે ટોપ પર છે. પીએમ મોદી પોતાની લોકપ્રિયતા અને કામોને લઈને વધારે પસંદ કરવામાં આવ્યા છે. યુ.પી.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને તેમનાં કામોને કારણે બીજું સ્થાન મળ્યું છે. જ્યારે ગૃહપ્રધાન અમિત શાહ ત્રીજા સ્થાન પર છે.