મુંબઈ: કોરોના વાઇરસના લૉકડાઉનમાં સેવાયજ્ઞ કરતા સિવિલ હીરો
ભાંડુપના ઉત્કર્ષ નગરના ઉત્સાહી મિત્ર મંડળે અનાજકરિયાણાની વહેંચણી કરી હતી.
કોરોના વાઇરસના રોગચાળાને કારણે લોકડાઉન દરમ્યાન સમાજના અનેક વર્ગો મુશ્કેલીમાં પડ્યા છે. એ સ્થિતિમાં મુંબઈના દરિયાદિલ લોકોની માનવતાની મહેક પણ છલકાઈ રહે છે. સંબંધિત વર્ગોને સહાય માટે જાણીતા અને અજાણ્યા લોકોએ સહાયના હાથ લંબાવ્યા છે. રોજી રળનારા અને બેઘર લોકોને માટે સમાજ સેવકોએ નિસ્વાર્થ સેવા શરૂ કરી છે.
મુલુંડના 53 વર્ષના કેટરર સંજય માલી અને કાંદિવલીના 35 વર્ષના કેટરર સ્વપ્નીલ પોવળે આવશ્યક સેવાઓ ચલાવતા મુંબઈ મહાનગર પાલિકાના કર્મચારીઓ, પાલિકાની હોસ્પિટલોના કર્મચારીઓને રોજ જમાડે છે.
સંજય માલીએ જણાવ્યું હતું કે રવિવારે હું દવાઓ લેવા નીકળ્યો ત્યારે કેટલાક લોકોને આંટાફેરા મારતાં જોયા હતા. એ લોકોને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે એ લોકોએ કહ્યું કે એ લોકો મુલુંડ રેલવે સ્ટેશનના સ્ટાફર્સ છે અને જમવાનું શોધે છે. એ વખતે એ પ્રકારના લોકોને માટે ખાવાની વ્યવસ્થા કરવાનો વિચાર મારા મનમાં આવ્યો હતો. સ્વપ્નીલ પોવળે કાંદિવલી(પૂર્વ)ના ઠાકુર વિલેજમાં હાઉસિંગ સોસાયટીઝના સફાઈ કર્મચારીઓ, હાઉસ કીપિંગ સ્ટાફ તેમજ મુંબઈ મહાનગર પાલિકાની આવશ્યક સેવાઓમાં સક્રિય કર્મચારીઓ માટે જમવાની વ્યવસ્થા કરે છે.
સંજય માલીએ પાંચ રસ્તા વિસ્તારનો મેટરનિટી હોમ એમ.ટી અગરવાલ હોસ્પિટલ અને મહાનગર પાલિકાની ટી વોર્ડ ઓફિસમાં તથા પોલીસ પાસે જઇને કેટલા લોકોને જમવાની અને નાસ્તાની વ્યવસ્થાની જરૂર છે, એની માહિતી મેળવી હતી. એમણે કેટલાક બેઘર લોકોને પણ જરૂરિયાત હોવાનું નોંધ્યું હતું. એ રીતે કેટલા અને કેવા પ્રકારના લોકોને જરૂર છે, એનું સર્વેક્ષણ કરીને યાદી બનાવી અને અંદાજિત સંખ્યાને આધારે રોજ જમવાની વ્યવસ્થા કરી છે. સંજય માલી અને એમના સ્ટાફર્સ સવારે પાંચ વાગ્યામાં ઊઠીને 175થી 200 જણ માટે નાસ્તો અને જમવાનું બનાવે છે.
ભાંડુપના ઉત્કર્ષ નગરમાં 40 વર્ષોથી સાંસ્કૃતિક,સામાજિક અને શૈક્ષણિક અને ઉત્સાહી મિત્ર મંડળે રોજી પર કામ કરનારાઓના પરિવારોને અનાજ-કરિયાણાની સહાય શરૂ કરી છે. મંડળના પ્રમુખ વિકાસ પાટીલે જણાવ્યું હતું કે અમે અને અમારા કાર્યકરોએ દરેક ઘરે ખરીને તપાસ કરી ત્યારે 68 જણને આવી જરૂરિયાત હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ગઈકાલથી એ 68 જણને એક કિલો ચોખા, એક કિલો તુવેરદાળ, એક કિલો કાંદા અને એક કિલો બટાકા વહેંચવાનું શરૂ કર્યું હતું. અમે વિવિધ સંગઠનો દ્વારા જરૂરિયાતમંદોની માહિતી મેળવવાનું ચાલુ રાખ્યું છે.
ADVERTISEMENT
બેઘર અધિકાર અભિયાન નામની સામાજિક સંસ્થાએ ગઈકાલે કુર્લા, કલીના અને જે.જે.માર્ગ વિસ્તારોમાં વસતા બેઘર લોકોને આહારની વ્યવસ્થાના પ્રયત્નો શરૂ કર્યા હતા. ગઈકાલે હોટલોએ જમવાનું બનાવવાનો ઓર્ડર લેવાનો ઇનકાર કરતાં એ સંસ્થાએ બેઘર લોકોને બિસ્કિટ્સ અને કેટરર્સ પાસેથી જે મળ્યા તે પદાર્થો વહેંચ્યા હતા. અભિયાનના કન્વીનર બ્રિજેશ આર્યે જણાવ્યું હતું કે મુંબઈમાં લગભગ બે લાખ બેઘર લોકો છે. એમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતથી આવેલા બે-ત્રણ પેઢીથી રહેતા પરિવારોનો સમાવેશ છે.