રાજકોટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ખૂલી શકશે ચાની કીટલી અને ગલ્લા
પ્રતીકાત્મક તસવીર
રાજકોટ શહેર તેમ જ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાઇરસનો કેર વધી રહ્યો છે. કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. લૉકડાઉન દરમ્યાન કોરોના વાઇરસ કાબૂમાં હતો પરંતુ અનલૉક-1 તેમ જ અનલૉક-2માં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. રાજકોટ શહેરમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા ૨૩૨ ઉપર પહોંચી છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા ૨૧૦ ઉપર પહોંચી છે. આ અનુસંધાને રાજકોટના કલેક્ટર તરફથી સોમવારે સવારે રાજકોટ ગ્રામ્યમાં ચાની કીટલીઓ અને પાનના ગલ્લા મંગળવારથી બંધ રહેશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. બાદમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ચાની કીટલીઓ કે પાનના ગલ્લા બંધ રાખવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેર તેમ જ જિલ્લામાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા ૪૪૨ ઉપર પહોંચી છે. વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આવતી કાલથી એટલે કે મંગળવારથી રાજકોટ જિલ્લામાં ચાની કીટલીઓ તેમ જ પાનના ગલ્લા આઠ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત રાજકોટ જિલ્લા કલેક્ટર રમ્યા મોહન તરફથી કરવામાં આવી હતી.