કોરોના ભય: ઇમર્જન્સીમાં મુંબઈગરાનું ધણીધોરી કોઈ જ નથી
કુર્લાના સફેદ પુલ નજીક બીએમસીના આરોગ્ય કર્મચારીઓ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરે છે
પ્રશાસને કોરોનાના દર્દીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલોમાં કરી હોવા છતાં દર્દીઓને ઇમર્જન્સીમાં સારવાર કરાવવામાં મુશ્કેલી થઈ રહી છે. વ્યવસ્થા તંત્રમાં તાલમેલના અભાવે લોકોને સમયસર ઍમ્બ્યુલન્સ નથી મળતી, હૉસ્પિટલમાં દાખલ કરવામાં મુશ્કેલી આવવાની સાથે જેમના પરિવારજનો મૃત્યુ પામ્યા હોય છે તેમના મૃતદેહને મેળવવામાં અનેક દિવસ લાગી રહ્યા છે.
દાખલા તરીકે વરુણ ટાકે (નામ બદલ્યું છે) સહિત સાંતાક્રુઝ-ઈસ્ટમાં રહેતા ૯ પરિવારજનોને આ મહિનાની શરૂઆતમાં કોરોનાની ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ ૪ મેએ તેના અંકલનું મૃત્યુ થયું ત્યાં સુધી તેમની આકરી કસોટી થઈ હતી. અંકલને શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં વરુણે તેમને કેઈએમ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. ઍડ્મિટ કર્યાના બીજા દિવસે અંકલનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
અંકલના મૃત્યુના બીજા દિવસે વરુણનાં ૫૬ વર્ષનાં મમ્મીને પણ કોરોનાનાં લક્ષણ દેખાવા લાગ્યાં હતાં. વરુણે કહ્યું હતું કે ‘મારી મમ્મીને એસિડિટીની તકલીફ હોવાથી તેમની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે ૮ મેએ ડૉક્ટરે તેમનો એક્સ-રે કાઢ્યો હતો. બાદમાં મમ્મીને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થયેલી. ડૉક્ટરે કહ્યું હતું કે આ કોરોનાના શંકાસ્પદ કેસ હોવાથી તેમને અન્ય હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાં પડશે. હું મમ્મીને ઍડ્મિટ કરવા બાંદરા-વેસ્ટમાં કારમાં પાંચ હૉસ્પિટલ ફરર્યો હતો. દરેક હૉસ્પિટલના સ્ટાફે કહ્યું હતું કે અમારી પાસે બેડ ઉપલબ્ધ નથી તો કોઈક હૉસ્પિટલે કોવિડ-19ની ટેસ્ટનો રિપોર્ટ માગ્યો હતો.’
વરુણે ઉમેર્યું હતું કે ‘મિત્રોની મદદથી ત્યાર બાદ મમ્મીને સેવન હિલ્સ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ મારા સહિત ૯ પરિવારજનોને કોરોનાનું સંક્રમણ થતાં બધાને અહીં જ ઍડ્મિટ કરાયાં હતાં. આમાંથી અમુકના ડિસ્ચાર્જ થઈ ગયા છે.’
આવી જ હાલત વસઈ રોડમાં રહેતા ૮૦ વર્ષના જોસેફ (નામ બદલ્યું છે)ની થઈ હતી. તેમના પાડોશીએ કહ્યું હતું કે જોસેફને શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે તેમનું ઑક્સિજન-લેવલ ઘણું નીચું ગયું હતું. તેમને હૉસ્પિટલ લઈ જવા માટે અમને ઍમ્બ્યુલન્સ નહોતી મળી. રાતે એક ઍમ્બ્યુલન્સવાળાએ માત્ર પાંચ મિનિટના અંતરે આવેલી લીલાવતી હૉસ્પિટલ જવા માટે ૬૦૦૦ રૂપિયા માગ્યા હતા. ત્યાર બાદ જોસેફનું મૃત્યુ થયું હતું.
સારવાર વિના અને ઍમ્બ્યુલન્સ ન મળતાં કોઈનું કોરોનાથી મૃત્યુ થયું હોય તેમની સ્થિતિ પણ આવી જ છે. વરલીના ૬૪ વર્ષના દર્દીનું ૯ મેએ બાંદરાની ભાભા હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેમના પરિવારજનોને મૃતદેહ મેળવવા પાંચ દિવસ લાગ્યા હતા. કોરોનાના પ્રોટોકૉલ મુજબ પાલિકાની હૉસ્પિટલે દર્દીના મૃત્યુ બાદ રિપોર્ટની રાહ જોયા વિના મૃતદેહ પરિવારજનોને સોંપવાનો રહે છે. જોકે પ્રશાસન, મેડિકલ ટીમ અને અન્ય વિભાગના તાલમેલના અભાવે મેડિકલ ઇમર્જન્સીમાં લોકો પરેશાન થઈ રહ્યા છે.