કરાચીમાં લગ્નમાં ગયેલા ગોધરાના 26 લોકો લૉકડાઉનમાં ફસાયા
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસના કારણે અનેક ગુજરાતીઓ સહિત ભારતીયો વિદેશોમાં ફસાયા હોવાના અહેવાલ મળે છે, ત્યારે પંચમહાલના ગોધરાના ૨૬ લોકો પાકિસ્તાનમાં ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. ૨ મહિના પહેલાં ગોધરામાંથી ૨૬ લોકો કરાચી લગ્નમાં ગયા હતા, પરંતુ અચાનક ભારત-પાકિસ્તાનમાં લૉકડાઉન જાહેર કરી દેવામાં આવતા તેઓ પાકિસ્તાનમાં જ અટવાઈ પડ્યા હતા. હાલ તેમણે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કરી ભારત સરકાર પાસે મદદ માગી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે અનેક વખત ઈ-મેઇલથી જાણ કરી હોવા છતાં તેમને મદદ મળી રહી નહોતી. તમામ ૨૬ લોકોએ સરકારને મેઇલ કર્યો હોવાનો દાવો કર્યો છે. ૪ જૂને અમૃતસરથી ગોધરાની ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી હતી, પરંતુ તે ટ્રેન કેન્સલ થઈ હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે પંચમહાલના ગોધરાના ૨૬ લોકો છેલ્લા ૨-૩ મહિનાથી પાકિસ્તાનના કરાચીમાં ફસાયા હોવાના એક અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં એક લગ્ન સમારંભમાં ભાગ લેવા ગયેલા આ તમામ લોકો લૉકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયા છે. આ લોકોએ પરિવાર વગર જ પાકિસ્તાનમાં રમજાન અને ઈદ મનાવી છે. તેમાંના કેટલાક લોકો ૨૨ ફેબ્રુઆરીએ પાકિસ્તાન ગયા હતા. જ્યારે અન્ય લોકો ૧૧ માર્ચે ગયા હતા. હાલ સોશ્યલ મીડિયા મારફતે તમામે વીડિયો અને ઈ-મેઇલ મારફતે ભારત પરત આવવા માટે તેમણે સરકાર પાસે મંજૂરી માગી હતી, પરંતુ સરકારે તેમની મંજૂરી સ્વીકારી નહોતી. ૪ જૂને તેમણે અમૃતસરથી ગોધરાની ટ્રેનમાં ટિકિટ બુક કરી છે. તેમણે સરકાર પાસે અટારી-વાઘા બોર્ડરથી ભારતમાં આવવા માટે મંજૂરી માગી છે. પાકિસ્તાનના કરાચીમાં રહેતા સામાજિક કાર્યકર સલીમ મુર્શાદ ગોધરાના લોકોને પરત મોકલવામાં મદદ કરી રહ્યા છે.