ભારતમાં કોરોનાના કેસ 9 લાખને પાર : અનેક શહેરોમાં લૉકડાઉન શરૂ થઈ ગયું છે
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક સ્તરે કોરોના મહામારીની સ્થિતિ બગડી રહી હોવાની વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી વચ્ચે સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધતાં, વાઇરસના સંક્રમણને રોકવા કેટલાંક શહેરોમાં આંશિક લૉકડાઉન અમલમાં છે ત્યારે અનલૉક-2ના ૧૩મા દિવસે સોમવારે કોરોનાના કેસો ૨૮,૦૦૦ની ઉપર નોંધાયા છે અને એ સાથે જ કેસની સંખ્યા ૯ લાખને પાર કરી ગઈ છે. જો આ જ રીતે કેસ વધશે તતો આગામી ૩ જ દિવસમાં કેસની સંખ્યા ૧૦ લાખ સુધી પહોંચી શકે છે. મંગળવારે સવારે છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે નવા ૨૮,૪૯૮ કેસ સામે આવ્યા હતા. બીજી તરફ ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી રેટ ૬૩.૦૨ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસ ૯ લાખની ઉપર પહોંચી ચૂક્યા છે. દેશનાં વિવિધ રાજ્યોનાં ઘણાં શહેરોમાં ફરીથી લૉકડાઉન લાગુ થયું છે. કોરોનાની ચેઇન તોડવાનો આ એકમાત્ર ઉપાય હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવડમાં રાતથી ૧૦ દિવસનું લૉકડાઉન શરૂ થઈ ગયું છે. પુણેમાં ૧૪ જુલાઈથી ૨૩ જુલાઈ સુધી લૉકડાઉન લાગુ રહેશે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક જ દિવસમાં ૧૯૧ કેસ આવતાં સાંજે ૭ વાગ્યાથી એક સપ્તાહ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાદવામાં આવશે. કર્ણાટકના બૅન્ગલોર શહેર અને ગ્રામ્ય સહિત દક્ષિણ કર્ણાટકમાં એક સપ્તાહનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમ્યાન જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ વસ્તુઓની દુકાનો બંધ રહેશે. નિયમનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લૉકડાઉન લાગુ રહેશે. વારાણસીમાં સોમવારથી શુક્રવાર એમ પાંચ દિવસ સુધી અડધા દિવસનું લૉકડાઉન લાગુ કરવામાં આવી રહ્યુંુ છે. સાંજે ૪ વાગ્યાથી લૉકડાઉન અમલી બનશે.