મુંબઈમાં કોરોનાના કેસ વધ્યા, પણ ચિંતાનું કારણ નથી
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા વખતથી મુંબઈમાં લોકલ ટ્રેન શરૂ થયા બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શું કોરોના-વેવ ફરી શરૂ થઈ છે એવા સવાલ મુંબઈગરાઓમાં ચર્ચાઈ રહ્યા છે ત્યારે શુક્રવારે ૮૨૩ કેસની સરખાણીએ શનિવારે ૮૯૭ કેસ નોંધાયા હતા. આમ શુક્રવારની સરખામણીએ ૭૪ કેસનો વધારો નોંધાયો હતો છતાં એ પ્રમાણમાં ઓછો હોવાથી બહુ ચિંતાનું કારણ નથી, લોકોએ ગભરાઈ જવાની જરૂર નથી છતાં લોકો વધુ ને વધુ કાળજી રાખે અને નિયમોનું પાલન કરે એવી ચેતવણી સુધરાઈએ આપી છે. શુક્રવારે ઍક્ટિવ કેસ ૪૪૦ હતા, જે શનિવારે ૫૭૧ નોંધાયા હતા. શુક્રવારે કોરોનાના પાંચ દરદીઓનાં મોત થયાં હતાં, જ્યારે શનિવારે એ આંકડો ૩નો રહ્યો હતો.
જોકે કોરોનાના વધતા કેસને લીધે અફવાબજાર ગરમ થઈ ગયું હતું અને ફરી પાછું મુંબઈમાં લૉકડાઉન થશે એવા મેસેજિસ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. જોકે આ બાબતે એવો કોઈ નિર્ણય લેવાયો નથી. આવતા અઠવાડિયે આ સંદર્ભે પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવાય એવી શક્યતા છે.
ADVERTISEMENT
બીએમસીના ૨૪ વૉર્ડમાં શુક્રવારે ૧૩,૫૯૨ લોકો સામે માસ્ક ન પહેર્યા હોવાથી કાર્યવાહી કરીને ૨૭,૧૮,૪૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો. અત્યાર સુધી બીએમસીએ ૧૫,૭૧,૬૭૯ લોકો સામે કાર્યવાહી કરીને ૩૧,૭૯,૪૩,૪૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
ઑફિસનો ૧૦થી પાંચ વાગ્યાનો સમય બદલવા સીએમની પીએમને રજૂઆત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ગઈ કાલે પાર પડેલી નીતિ આયોગની બેઠકમાં વિડિયો-કૉન્ફરન્સિંગ સાથે જોડાયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઑફિસોના ૧૦થી પાંચ વાગ્યાના પરંપરાગત સમયમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું, એટલું જ નહીં એ માટે રાષ્ટ્રીય સ્તરે પૉલિસી બનાવવાનો અનુરોધ કર્યો હતો.