વીસ વર્ષ સુધી કોરોના વાઇરસ રહેશે : સીરમ ઇન્સ્ટિટ્યૂટનો દાવો
પ્રતીકાત્મક તસવીર
દેશ અને દુનિયામાં કોરોના વાઇરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. દુનિયાભરના લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કોરોનાની વૅક્સિન આવે ને ક્યારે આ મહામારીમાંથી છુટકારો મળે. દુનિયાની અનેક દિગ્ગજ કંપનીઓ અને સંસ્થાઓ કોરોના વૅક્સિન વિશે સંશોધન કરી રહી છે. આ બધા વચ્ચે દુનિયાની અગ્રણી વૅક્સિન નિર્માતા ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે કોરોના વાઇરસની મહામારી એમ જલદી જવાની નથી, આવનારા બે દશક સુધી કોરોના વાઇરસની આ બીમારી રહેશે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પુનાવાલાએ એક વેબસાઇટ સાથે વાત કરતાં જણાવ્યું છે કે આવનારાં ૨૦ વર્ષ સુધી કોરોના વાઇરસનો ફેલાવો થતો રહેશે અને લોકોને એનો ચેપ લાગશે અને ત્યાં સુધી વૅક્સિનની જરૂર પણ રહેશે. પુનાવાલાએ આગળ કહ્યું કે ઇતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે કોઇ પણ રસીની જરૂરિયાત એક જ વારમાં પૂરી થઈ ગઈ હોય. એના માટે તેમણે ન્યુમોનિયા, ફ્લુ વગેરે બીમારીઓનાં ઉદાહરણ આપતાં કહ્યું કે આ તમામ બીમારીઓની વૅક્સિન વર્ષોથી વપરાય છે અને હજી પણ એનો વપરાશ ચાલુ જ છે. ત્યારે કોરોના વૅક્સિન સાથે પણ આવું થઈ શકે છે.
પુનાવાલાએ જણાવ્યું કે જો વિશ્વના તમામ લોકોને વૅક્સિન આપવામાં આવશે તો પણ એની જરૂર તો પડશે જ. વૅક્સિન એ કોઈ ઠોસ ઉપાય નથી, એના વડે માત્ર ઇમ્યુનિટી જ વધે છે. વૅક્સિનના કારણે શરીરમાં ઍન્ટિબૉડી ઉત્પન થાય છે જે તમને બીમારીથી બચાવે છે, પરંતુ ૧૦૦ ટકા નહીં.
ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને કોવિશીલ્ડ નામની વૅક્સિન બનાવી રહી છે. આ વૅક્સિન અત્યારે ત્રીજા તબક્કાની ટ્રાયલમાં છે.